21 April, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અગાઉના અલ નીનો પ્રભાવ પરથી બોધપાઠ લઈને મહારાષ્ટ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે. સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક હાઈ-લેવલ મીટિંગ કરી હતી અને અધિકારીઓને સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી હોવાથી આવા સંજોગોમાં થતા નુકસાનને ઘટાડવા માટે વહેલાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
હવામાન ખાતાના નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોનો પ્રભાવ સૌથી વધુ મજબૂત હોઈ શકે છે, જેમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની અને વારંવાર હીટવેવ આવવાની શક્યતા છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૪૫ ટકા પાણીનો સ્ટૉક ઉપલબ્ધ છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો આટલો પુરવઠો પણ પૂરતો છે.’
મુખ્ય પ્રધાને અગાઉથી તૈયારી કરવાની, પાણીનો સંગ્રહ કરવાની અને એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આયોજન આ વર્ષ પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ પરંતુ અધિકારીઓએ આગામી વર્ષના ઉનાળા માટે પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ.