16 July, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જીવ ગુમાવનાર હેરંબ કરમરકર
આગ્રીપાડામાં રહેતા કુટુંબના પાંચ સભ્યો ગોવાથી મુંબઈ પાછા આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડતાં કુટુંબના ૪ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. બુધવારે સવારે મુંબઈ-ગોવા હાઇવે પર રત્નાગિરિમાં બનેલી આ ઘટનામાં કારમાં સવાર બે મહિલા અને એક બાળકનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે જણને ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જેમાંથી એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર પરિવાર મુંબઈ પાછો આવી રહ્યો હતો ત્યારે તેમની કાર ડમ્પર સાથે અથડાતાં ભીષણ અકસ્માત થયો હતો અને કારના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત કઈ રીતે થયો એની તપાસ ચાલી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલાઓને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
આ ઘટના બાદ આ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક-વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે થોડા જ વખતમાં કચ્ચરઘાણ થયેલી કાર અને ડમ્પરને બાજુમાં હટાવીને ટ્રાફિક શરૂ કર્યો હતો.