થાણેના કશેળી બ્રિજ પરથી યુવકે લગાવી છલાંગ, પણ ઉગારી લેવાયો

03 February, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવકે આ પગલું કયા કારણસર ભર્યું હતું.

સિમેન્ટના કઠેડા પર પડેલો આદિત્ય, આદિત્યને ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

થાણેના કશેળી બ્રિજ પર ગઈ કાલે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ભિવંડીના કાલ્હેરમાં રહેતા ૨૬ વર્ષના આદિત્ય મિશ્રાએ પોતાનું ટૂ-વ્હીલર બ્રિજ પર પાર્ક કરીને અચાનક ખાડીમાં ઝંપલાવી દીધું હતું. જોકે કાલ્હેરથી થાણે તરફ જઈ રહેલો આદિત્ય સીધો પાણીમાં પડવાને બદલે બ્રિજના પિલરના નીચેના ભાગમાં આવેલા સિમેન્ટના કઠેડા પર પટકાયો હતો જેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સને થતાં એક કલાકની ભારે જહેમત બાદ આદિત્યને ઉગારી લેવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવકે આ પગલું કયા કારણસર ભર્યું હતું.

થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના યાસીન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રેસ્ક્યુ ઑપરેશનમાં સ્થાનિક માછીમારોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માછીમારોની એક બોટની મદદથી સંયુક્ત રીતે બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાડીના પ્રવાહ અને કઠેડાની મુશ્કેલ જગ્યા હોવા છતાં લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ઘાયલ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જૅમ થયો હતો અને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તેણે આવું કેમ કર્યું એની તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai thane crime thane mumbai police maharashtra news maharashtra