10 August, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરે પોલીસ-સ્ટેશનમાં મદદ માટે પહોંચેલી આસામની ટીનેજર.
રૂપેરી પડદે ચમકવાની અને અભિનયક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઘેલછામાં ઘરબાર છોડીને મુંબઈ આવી પહોંચેલાં બે ટીનેજરનો આરે પોલીસની સમયસૂચકતાને કારણે તેમના પરિવાર સાથે પાછો ભેટો કરાવી શકાશે.
આસામ અને મધ્ય પ્રદેશનાં વતની આ બન્ને ટીનેજર એકબીજાથી અજાણ હતાં અને અલગ-અલગ દિવસે ફિલ્મસિટી પહોંચ્યાં હતાં. કોઈ અનિચ્છનીય બનાવ બને એ પહેલાં જ પોલીસે બન્નેને પોતાની સલામત કસ્ટડીમાં લઈને તેમના પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આરે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આસામની રહેવાસી ૧૫ વર્ષની ટીનેજર પોતાનાં મમ્મી-પપ્પાની જાણ બહાર ૪ ઑગસ્ટે ઘર છોડીને નીકળી ગઈ હતી. ગુવાહાટીથી ટ્રેન પકડીને તે મુંબઈના છત્રપતિ શિવજી મહારાજ ટર્મિનસ (CSMT) ઊતરી હતી. ત્યાંથી મોબાઇલ ફોન પર સરનામું શોધીને તે ગોરેગામની ફિલ્મસિટી પહોંચી હતી. જોકે કામ ન મળતાં અને એકલી પડી જતાં તેણે આરે પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પૂછપરછ દરમ્યાન તેની આપવીતી જાણીને પોલીસે તેની મમ્મીનો સંપર્ક કર્યો હતો. ચિંતિત પરિવારજનો તેને પાછી લઈ જવા મુંબઈ આવ્યા હતા.
આવી જ બીજી એક ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડાનો ૧૬ વર્ષનો ટીનેજર ૬ ઑગસ્ટે સ્કૂલમાં જવાનું કહીને ઘરની બહાર નીકળ્યો હતો. ત્યાંથી તે નાગપુર થઈને મુંબઈ પહોંચ્યો હતો. જાણીતી ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અભિનય કરવાની ઇચ્છા ધરાવતો આ ટીનેજર પણ ગોરેગામ ફિલ્મસિટી નજીક પહોંચી ગયો હતો. આ વિસ્તારમાં તેને એકલો ભટકતો જોઈને સ્થાનિક નાગરિકે પોલીસને જાણ કરી હતી.
આરે પોલીસે કિશોરની પૂછપરછ કરીને તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સપનાંની નગરીમાં અજાણતાં જ ભૂલાં પડેલાં બન્ને બાળકો સુરક્ષિત હાથોમાં પહોંચતાં અને તેમના પરિવારજનો સાથે મિલાપ થતાં આ સમગ્ર ઘટનાનો સુખદ અંત આવ્યો છે.