19 August, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિંબાળા ગામની સ્કૂલ સામે આંદોલનકારી ગામવાસીઓ સાથે અભિજિત દીપકેએ દારૂડિયા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યો એ માહિતી ફોનમાં દર્શાવી હતી.
કૉક્રૉચ જનતા પાર્ટીના કન્વીનર અને જેન-ઝી નેતા અભિજિત દીપકેના ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ હિંગોળી જિલ્લાના લિંબાળા ગામના દારૂડિયા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની તેની માગણી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે માન્ય રાખીને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યો હતો. અભિજિત દીપકેએ એ બાબતને પોતાની પહેલી જીત ગણાવી છે.
અભિજિત દીપકેએ હિંગોળી જિલ્લામાં આવેલા તેના વતન સંતુક પિંપરીની સ્કૂલની ખસ્તા હાલત બાબતે પણ આંદોલન છેડ્યું હતું અને ત્યાર બાદ એનાથી બે-ત્રણ કિલોમીટર દૂર આવેલા લિંબાળા ગામની મુલાકાત લઈને ત્યાંની સ્કૂલ બાબતે ગામવાસીઓ સાથે ચર્ચા કરી હતી. એ વખતે ગામવાસીઓએ કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ પોતે જ દારૂ પીને આવે છે અને એ વિશે ફરિયાદો પણ કરવામાં આવી હોવા થતાં કોઈ ઍક્શન લેવાતી નથી. એથી અભિજિત દીપકેએ સ્પૉટ પરથી જ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીને ફોન લગાડીને એ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે માની લીધી છે. વધુમાં એ સ્કૂલમાં પાંચ ક્લાસ વચ્ચે બે જ શિક્ષકો છે અને એમાંથી એકને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ સોંપવામાં આવ્યું હોવાની ફરિયાદ મળી હતી. એથી હવે એ સ્કૂલમાં નવા શિક્ષકોની નિમણૂક કરવાની પણ માગણી પર કરવામાં આવી છે.
અભિજિત દીપકેના ગામ સંતુક પિંપરીની સ્કૂલમાં પહેલી વાર બાળકો માટે બેન્ચ આવી હતી એનાથી પણ તે અત્યંત ખુશ થયો હતો. તેણે કહ્યું હતું કે હંમેશાં જમીન પર બેસતા વિદ્યાર્થીઓ માટે પહેલી વાર બેન્ચ આવી છે એ મારા જીવનની અત્યંત ખુશીની ક્ષણ છે.
પરિવર્તન શક્ય છે
અભિજિત દીપકેએ સોશ્યલ મીડિયા પર વધુ એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે સંતુક પિંપરીની સ્કૂલમાં નવાં આવેલાં કમ્પ્યુટરો વિદ્યાર્થીઓને બતાવ્યાં હતાં અને કહ્યું હતું કે ‘આ ગામની સ્કૂલમાં પહેલી વાર કમ્પ્યુટર્સ આવ્યાં છે. સરકાર જ્યારે ફેલ જાય છે ત્યારે લોકો આગળ આવે છે. પરિવર્તન શક્ય છે. ભણવા માટે આ કમ્પ્યુટરનો ઉપયોગ કરજો.’
અભિજિત દીપકેને રિપબ્લિકન પાર્ટીમાં જોડાવાની ઑફર કરી રામદાસ આઠવલેએ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજિત દીપકેને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાવાની ઑફર મળી છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સપનું પૂરું કરવા અભિજિત દીપકેએ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)માં જોડાવું જોઈએ. અભિજિત દીપકેએ હજુ સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ તેણે રાજકારણમાં પ્રવેશવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણી-સિસ્ટમમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો દુરુપયોગ કરી પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. દેશને નવા રાજકીય પક્ષની નહીં પરંતુ જનઆંદોલનની સખત જરૂર છે.’