03 June, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ગઢવી ફાઇલ તસવીર
આદિત્ય ગઢવી સૌથી પ્રિય ગુજરાતી લોક કલાકારોમાંના એક છે. “ટ્રાઈબવાઈબ ઍન્ટરટેનમેન્ટ”ના નિર્માણ હેઠળ મુંબઈના નેસ્કો સેન્ટર હૉલ 4માં 14 અને 15 જૂન, 2025ના રોજ સતત બે દિવસ તેમના “લાઈવ ઇન કૉન્સર્ટ” શોનું આયોજન થશે. આ માત્ર કૉન્સર્ટ નહીં પણ એક એવી યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં એક સ્થાનિક કલાકાર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શિખર પર પહોંચી ચૂક્યો છે. યુએસ અને કેનેડા જેવી જગ્યા પર પોતાની પ્રસ્તુતિઓ આપી ચૂકેલા આદિત્ય હવે ફરી એકવાર ભારતીય દર્શકો સમક્ષ, મુંબઈમાં પોતાનું લોકસંગીત લઈ આવી રહ્યા છે, તે પણ એક ભવ્ય અને અનોખી રજૂઆત સાથે. આ માત્ર કૉન્સર્ટ નહીં પરંતુ તેમની સફળતા, તેમનાં સંસ્કૃતિમૂલ્ય અને આધુનિકતાના સંગમની ઉજવણી છે.
આદિત્ય ગઢવીનું સફળતાની સફર ખૂબ જ નાની ઉંમરે શરૂ થઈ હતી. માત્ર 18 વર્ષની વયે તેમણે ગુજરાતના લોકપ્રિય લોક અને સુફી ગાયન સ્પર્ધા “ETV લોક ગાયક ગુજરાત” નો ખિતાબ જીત્યો હતો. આ વિજયથી તેમને રાજ્યભરના લોકગીત પ્રેમીઓ વચ્ચે ઓળખ મળી અને હૉન્ગકૉન્ગ જેવા વિસ્તારો સુધી પણ ગુજરાતી સંગીત પહોંચાડ્યું. તેમની પ્રતિભા ત્યારે વધુ એકવાર ચમકી જ્યારે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસના પરેડ દરમિયાન ગુજરાતના ઝાંખી માટે પોતાનો અવાજ આપ્યો હતો. એ પ્રસંગે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બંને મોટી હસ્તીઓની હાજરી હતી.
આદિત્યએ ચેન્નાઈમાં એ.આર. રહેમાનની સંગીત સંસ્થામાંથી તાલીમ મેળવી છે, જેણે તેમને વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર કર્યા છે. ફિલ્મ “Kamasutra 3D” માટે તેમણે જે ગીતો ગાયા હતા તે ઑસ્કાર માટે નામાંકિત થયા હતા. તાજેતરમાં, આઈપીએલ ટીમ `ગુજરાત ટાઇટન્સ` માટે આદિત્ય ગઢવીનું ગીત "આવા દે" પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું.
પરંતુ 2023માં `Coke Studio Bharat` હેઠળ રજૂ થયેલું તેમનું ગીત “ખલાસી” ખરેખર આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની ઓળખ બની ગયું. “ખલાસી” એ માત્ર ગુજરાતી ફૉક સંગીત ન હતું, પણ એમાં આધુનિક સંગીત સાથેની એક અસાધારણ જોડી હતી, જેનાથી તે વૈશ્વિક શ્રોતાઓ સુધી પહોંચ્યું. આ ગીતે ઑડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર ટોપ ચાર્ટ્સ હાંસલ કર્યા, Shazam India પર નંબર 1 સ્થાન મેળવ્યું અને અબજોમાં વ્યૂઝ મળ્યા હતા. વડા પ્રધાન મોદીએ પણ આ ગીત અને આદિત્ય ગઢવીની જાહેરમાં પ્રશંસા કરી હતી.
યુએસ અને કેનેડા જેવા દેશોમાં પોતાની રજૂઆતથી દર્શકોનું દિલ જીત્યા પછી, અદિત્ય ગઢવી હવે ભારતીય શ્રોતાઓ માટે મુંબઈમાં ખાસ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. આ લાઈવ કૉન્સર્ટ માત્ર સંગીતમય સંધ્યા નહીં, પણ એ તેમના લોકસંગીતના વારસાને આધુનિક દુનિયામાં ઉજવવાનો એક યાદગાર અવસર છે. આદિત્ય ગઢવી આજે સાબિત કરી રહ્યા છે કે સાચું અને મૂળિયાવાળું પ્રદેશી સંગીત પણ વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી શકે છે.