એક જીવનદીપ આથમ્યો, ત્રણ જણને નવજીવન આપતો ગયો

02 June, 2025 06:56 AM IST  |  Mumbai | Rohit Parikh

મુલુંડના ૫૬ વર્ષના બિપિન ઠક્કર બ્રેઇન-હૅમરેજને લીધે બ્રેઇન-ડેડ થયા એ પછી તેમના પરિવારે ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લઈને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું

બિપિન ઠક્કર

મુલુંડના ૫૬ વર્ષના બિપિન ઠક્કરને બ્રેઇન-હૅમરેજ થયા બાદ બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવતાં તેમના પરિવારે ધર્મમય જીવન જીવેલા બિપિન ઠક્કરની બે કિડની અને લિવરને ડોનેટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ નિર્ણય પછી ઠક્કર પરિવાર કહે છે કે અમે અંગદાનના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાની આશા રાખીએ છીએ અને
બ્રેઇન-ડેડ વ્યક્તિઓના પરિવારોને આ જીવન બચાવનાર વિકલ્પ પર વિચાર કરવાની વિનંતી કરીએ છીએ.

બિપિન ઠક્કર પહેલેથી જ અન્યોને મદદ કરવા માટે અગ્રેસર રહેતા હતા. આથી તેમના નાના ભાઈ મિતેષ ઠક્કર અને અન્ય પરિવારજનોએ તેઓ બ્રેઇન-ડેડ જાહેર થયા પછી તેમનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ પરિવારની બિપિનભાઈનાં બધાં જ અંગોને દાન કરવાની ભાવના હતી, પરંતુ મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેઓ બિપિનભાઈની ફક્ત બે કિડની અને ‌લિવર જ ડોનેટ કરી શક્યા હતા. તેમની એક કિડની અને લિવર પરેલની ગ્લેનીગલ્સ હૉસ્પિટલમાં દાન કરવામાં આવી હતી અને બીજી કિડની વિલે પાર્લેની નાણાવટી હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

આ બાબતની માહિતી આપતાં મુંબઈમાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનમાં આગવું નામ ધરાવતા ‌મિતેષ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડાં વર્ષોથી અપરિણીત બિપિનભાઈ અમરાવતીમાં તેમની બહેનને ત્યાં રહેતા હતા. ત્યાં ગયા શનિવારે બિપિનભાઈ સવારે નાસ્તો કર્યા પછી નીચે પડીને બેભાન થઈ ગયા હતા. તરત જ તેમને અમરાવતીની ‌ઝેનિથ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ બિપિનભાઈને હાઈ ‌બ્લડ-પ્રેશરને કારણે બ્રેઇન-હૅમરેજ થયું હોવાનું કહ્યું હતું. જોકે સોમવારે સારી સારવાર મળી રહે એ ઉદ્દેશથી બિપિનભાઈને અમે કાર્ડિઍક ઍમ્બ્યુલન્સમાં પરેલની ગ્લેનીગલ્સ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યાં તેમને તપાસ્યા બાદ ડૉક્ટરોએ બ્રેઇન-ડેડ જાહેર કર્યા હતા.’

ગ્લેનીગલ્સ હૉસ્પિટલના ડૉક્ટરોએ અમને કહ્યું હતું કે બ્રેઇન-ડેડ થયું હોવાથી હવે રિકવરીના કોઈ જ ચાન્સ નથી એમ જણાવતાં મિતેષ ઠક્કરે કહ્યું હતું કે ‘અમે પરિવારજનોએ ડૉક્ટરોની વાત સાંભળ્યા પછી તરત જ નિર્ણય કર્યો હતો કે આપણે બિપિનભાઈનાં ઑર્ગન્સનું ડોનેશન કરીને અન્યોની જિંદગી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ, આ જ ધાર્મિક અને સેવાભાવની જિંદગી જીવેલા ‌બિપિનભાઈને સાચી શ્રદ્ધાંજલિ છે. બિપિનભાઈ ધર્મમય વ્યક્તિ હતા. મંદિરમાં જવું, પૂજાપાઠ કરવા અને અન્ય લોકોને મદદ કરવી એ તેમનો મૂળ સ્વભાવ હતો. આથી જ તેમનાં ઑર્ગન્સ ડોનેટ કરીને મૃત્યુ પછી પણ તેઓ અન્ય લોકોને જીવતદાન આપતા ગયા. ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેશન કમિટીએ આપેલી જાણકારી પ્રમાણે અમારી સહમતીથી બિપિનભાઈના એક લિવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. અમને અફસોસ છે કે અમે તેમનાં અન્ય અંગોનું દાન કરવામાં અસમર્થ રહ્યા હતા. જોકે અમને એ વાતનો અનહદ આનંદ પણ છે કે બિપિનભાઈ આજે ત્રણ લોકોમાં જીવંત છે. સમાજમાં જાગરૂકતાની બહુ જ જરૂર છે કે બ્રેઇન-ડેડ વ્યક્તિ અન્ય લોકોને જીવતદાન આપી શકે છે.’

mulund medical information organ donation news mumbai gujaratis of mumbai gujarati community news mental health health tips mumbai news nanavati hospital