24 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ દરમ્યાન સલમાન ખાન સાથે એકનાથ શિંદે અને ફટકાબાજી કરતો મોહમ્મદ અઝહરુદ્દીન.
ટીબીમુક્ત ભારતના ઉમદા હેતુ માટે ગઈ કાલે નેતા-૧૧ અને અભિનેતા-૧૧ વચ્ચે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ગ્રાઉન્ડ પર એક ક્રિકેટ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું. નેતા-૧૧ ટીમના કૅપ્ટન સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હતા, જ્યારે અભિનેતા-૧૧ ટીમના કૅપ્ટન સુનીલ શેટ્ટી હતા. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘આ મૅચ ટીબીમુક્ત ભારતની જાગૃતિ માટે થઈ હતી. અમે દેશમાં ઘણી જગ્યાએ જઈશું અને મૅચ રમીશું. હું સુનીલ શેટ્ટી અને અન્ય કલાકારોનો આભારી છું કે તેઓ આ ઉમદા હેતુ માટે ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનમાં દેશના ટોચના કલાકારો જોડાયા છે. આ સંદેશ જન-જન સુધી પહોંચવો જોઈએ. મૅચ તો અમે એકબીજાની વિરુદ્ધમાં રમીશું. અમે લડીશું પણ ટીબી હારશે, દેશ જીતશે.’
નેતા-૧૧ની ટીમના સંસદસભ્ય ચંદ્રશેખર આઝાદે બાઉન્ડરી અને સિક્સર લગાવતાં અનુપમ ખેર મજાકમાં તેમને બૅટ લઈને મારવા દોડી આવતાં મેદાનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તસવીરો : આશિષ રાજે
દેશ માટે ક્રિકેટ રમી ચૂકેલા અને સફળ કૅપ્ટન રહેલા ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમ્મદ અઝહરુદ્દીને નેતાઓની ટીમમાંથી મેદાન પર ઊતરીને જોરદાર ફટકાબાજી કરી હતી.