04 December, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
કોરેગાવ–ભીમામાં ૨૦૧૮માં થયેલી હિંસાના કેસની તપાસ કરી રહેલા કોરેગાવ-ભીમા ઇન્ક્વાયરી કમિશને એ વખતના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને કમિશન સામે હાજર રહીને વિગતો આપવા મંગળવારે બોલાવ્યા હતા. જોકે ઉદ્ધવ ઠાકરે કે પછી તેમના કોઈ જ પ્રતિનિધિ કે વકીલ કમિશન સામે હાજર થયા નહોતા.
કેસની તપાસ કરી રહેલા કમિશનને તપાસ અંતર્ગત મળેલી માહિતી અનુસાર શરદ પવારે કોરેગાવની એ હિંસા સંદર્ભે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. કમિશને તેમની પાસે એ પત્રની કૉપી માગી હતી. શરદ પવારે કહ્યું હતું કે તેમની પાસે એ પત્રની કૉપી નથી. એથી કમિશને ઉદ્ધવ ઠાકરેને એ પત્રની કૉપી આપવા નોટિસ મોકલીને જણાવ્યું હતું. સત્તાવાર રીતે નોટિસ મોકલવા છતાં તેઓ હાજર ન રહેતાં આ બાબતે હવે તેમની સામે અરેસ્ટ વૉરન્ટ કાઢવામાં આવે એવી માગણી ઍડ્વોકેટ પ્રકાશ આંબેડકરે કમિશનને કરી છે. જોકે કમિશને એ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.