11 May, 2026 09:22 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
રૂપાલી ચાકણકર
નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને પોલીસે વિવિધ કેસોમાં આરોપી અશોક ખરાતની પોલીસ-કસ્ટડી લંબાવી છે. ગઈ કાલે રાજ્ય મહિલા આયોગનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની પણ SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કુલ ૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એમાંથી બે કલાક તો SITનાં હેડ તેજસ્વી સાતપુતે તેમને સવાલો કર્યા હતા.
અન્ય રાજકીય જૂથો કોના ઇશારે અશોક ખરાતના મંદિરમાં આવી રહ્યાં હતાં? રૂપાલી ચાકણકરના અશોક ખરાત સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો કયાં બૅન્ક-ખાતાંઓ દ્વારા કરવામાં આવ્યાં હતાં એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ SITના ઑફિસરો દ્વારા તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં તમે અશોક ખરાત સાથે ક્યારે સંબંધમાં હતાં? શું તમે શિવનિકા સંસ્થામાં હતાં ત્યારે અશોક ખરાતના આ બધા કેસોથી વાકેફ હતાં? અશોક ખરાત સાથે કરવામાં આવતી પૂજા અને ધાર્મિક વિધિઓ બરાબર હતી? શું પૂજાવિધિનો અશોક ખરાત સાથે કોઈ નાણાકીય સંબંધ હતો? અશોક ખરાત સાથેનો ફોટો અને વિડિયો ક્યારે લેવામાં આવ્યા છે? એ કયા કાર્યક્રમના છે? શિવનિકા સંગઠનની બેઠકોમાં શું કામ કરવામાં આવે છે? આ પ્રશ્નો SITએ રૂપાલી ચાકણકરને પૂછ્યા હતા.
અંજલિ દમણિયાએ તપાસની માગણી કરી
સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ તપાસની માગણી કરીને કહ્યું હતું કે ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલી ચાકણકરે SIT તપાસ માટે જતી વખતે રસ્તામાં પોતાની કાર બદલી હતી. ઉપરાંત પુણેથી નાશિક જતી વખતે રૂપાલી ચાકણકરે ત્રણથી ૪ વખત તેમની કાર રોકી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.’