13 June, 2021 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામદાસ આઠવલે
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યમાં બીજેપી અને શિવસેના ઉપરાંત અન્ય પક્ષોની મહાયુતિની નવી સરકાર મુખ્ય પ્રધાનપદ શૅર કરીને બની શકે છે.
રિપબ્લિકન પક્ષના નેતા અને કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘મારી આ બાબતે બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા થઈ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટૂંક સમયમાં મળીને આ મુદ્દે વાત કરીશ. આ સિવાય મરાઠા આરક્ષણ અને તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત બાબતે પણ વડા પ્રધાન સાથે વાતચીત કરીશ.’
તાજેતરમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં થયેલી બેઠક અને શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે વડા પ્રધાનનાં કરેલાં વખાણના સંદર્ભમાં રામદાસ આઠવલેએ ઉમેર્યું હતું કે ‘શિવસેના-બીજેપીની ફરી યુતિ કરવાનો આ યોગ્ય સમય છે. નવી મુંબઈમાં સ્વર્ગસ્થ ખેડૂત નેતા ડી. બી. પાટીલે અહીંના લોકો માટે ખૂબ કામ કર્યું હોવાથી અહીં બની રહેલા નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને તેમનું નામ આપવું જોઈએ. દરેક પ્રોજેક્ટને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું નામ આપવું જરૂરી નથી.’