04 November, 2025 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે BJPની નરીમાન પૉઇન્ટની ઑફિસમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા ઍડ્વોકેટ આશિષ શેલાર (ડાબે); ગઈ કાલે માતોશ્રીમાં મીડિયાને સંબોધતા ઉદ્ધવ ઠાકરે (તસવીર : સૈયદ સમીર અબેદી)
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અને રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કર્યો હતો કે ‘રાજ ઠાકરેને હિન્દુ અને મરાઠી લોકો બેવડા મતદાર તરીકે દેખાય છે, પણ તેઓ ઘણા મતવિસ્તારોમાં બેવડાં નામ ધરાવતા મુસ્લિમોને જોતા નથી. રાજ ઠાકરે પણ વોટ જેહાદથી પ્રભાવિત થયા છે. BJP ક્યારેય મતદારો વચ્ચે ભેદભાવ નથી રાખતી, પરંતુ મહા વિકાસ આઘાડી અને હવે તેમના નવા સાથી રાજ ઠાકરે જાતિ, ધર્મ અને સમુદાય વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે અને અમે તેમને ઉઘાડા પાડીશું.’
આશિષ શેલારે આ બાબતે આક્ષેપ કરતી વખતે અલગ-અલગ મતદારયાદીઓ દર્શાવીને એમાં રિપીટ મતદારો હોવાનો દાવો કરીને કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી વખતે ઘણા મતવિસ્તારોમાં મુસ્લિમ રિપીટ મતદારોની સંખ્યા અને મહા વિકાસ આઘાડીના ઉમેદવારોને મળેલા મતોની તુલના કરતાં તે વિધાનસભ્યોનો વિજય એ મુસ્લિમ રિપીટ મતદારોને કારણે થયો હતો. BJPનું વલણ હંમેશાં સૌ માટે ન્યાય, પરંતુ કોઈનું તુષ્ટીકરણ નહીં એવું રહ્યું છે.’
આશિષ શેલારે મુસ્લિમ રિપીટ મતદારોની વિગતો આપતાં કહ્યું હતું કે ‘૩૧ વિધાનસભા મતવિસ્તારોના વિશ્લેષણ પછી ૨,૨૫,૭૯૧ મુસ્લિમ અને ખ્રિસ્તી બેવડા મતદારોની સંખ્યા પ્રકાશમાં આવી છે અને તમામ ૨૮૮ મતદારસંઘોમાં સમાન સંખ્યા ૧૬,૮૪,૨૫૬ સુધી જઈ શકે છે. વળી આ સંખ્યામાં મહા વિકાસ આઘાડીના સમર્થકોનો સમાવેશ કરાયો નથી. મહા વિકાસ આઘાડીના નેતાઓ આ બાબતો કેમ ઉલ્લેખ કરતા નથી?’
આશિષ શેલારે રજૂ કર્યા ચોંકાવનારા આંકડા
રોહિત પવાર : કર્જત–જામખેડ. મુસ્લિમ ડબલ મતદાર ૫૫૩૨, જીત્યા ૧૨૪૩ મતના માર્જિનથી
વરુણ સરદેસાઈ : બાંદરા-ઈસ્ટ. ૧૩,૩૧૩ ડબલ મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો, જીત્યા ૧૧,૩૬૫ મતના માર્જિનથી
જિતેન્દ્ર આવ્હાડ : મુંબ્રા. ડબલ મુસ્લિમ મતદારો ૩૦,૬૦૧
જ્યોતિ ગાયકવાડ : ધારાવી. ડબલ મુસ્લિમ મતદાર ૧૦,૬૮૯
અમીન પટેલ : મુમ્બાદેવી. ડબલ મુસ્લિમ મતદાર ૧૧,૧૨૬
અસલમ શેખ : મલાડ-વેસ્ટ. ડબલ મુસ્લિમ મતદાર ૧૭,૦૦૭, જીત્યા ૬૨૨૭ મતના માર્જિનથી
સુનીલ રાઉત : વિક્રોલી. ડબલ મુસ્લિમ મતદાર ૩૪૫૦
સુનીલ પ્રભુ : દિંડોશી. ડબલ મુસ્લિમ મતદાર ૫૩૪૭, જીત્યા ૬૧૮૨ મતના માર્જિનથી
આશિષ શેલારે તો અમને ફુલટૉસ બૉલ આપી દીધો: ઉદ્ધવ ઠાકરે
આશિષ શેલારે પત્રકાર પરિષદ લઈને જે આક્ષેપો કર્યા એ પછી ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ લીધી હતી અને બહુ સૂચક પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે ‘આશિષ શેલારે તો અમને ફુલટૉસ જ આપી દીધો. મૂળમાં તેમણે અમે જે આરોપ કર્યા હતા એ માની લીધા છે. મતદારયાદીમાં ગરબડ છે એ તેમણે માન્ય કર્યું છે. હું આશિષ શેલારનું જાહેરમાં અભિનંદન કરું છું. તેમણે અજાણતાં જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના પપ્પુ બનાવી દીધા છે. મોટા ભાગે BJPમાં કોઈ પણ ફડણવીસની વિરુદ્ધ બોલવાનું સાહસ નથી કરતું, પરંતુ આશિષ શેલારે એ સાહસ કર્યું. આ કદાચ તેમના આંતરિક વિખવાદને લઈને હોઈ શકે. આશિષ શેલારે પત્રકાર પરિષદ લીધી અને મતદારયાદીમાં ત્રુટિઓ હોવાનું માન્ય કર્યું. આશિષ શેલારની મુસ્લિમો સાથે ઊઠબેસ હશે એથી તેમને તેમનાં નામ દેખાયાં, અમારી નથી એથી અમને ન મળ્યાં. મુખ્ય પ્રધાનનું બિહારમાં જઈ સભાઓને સંબોધીને ગળું સુકાઈ ગયું છે ત્યારે હવે તેમને આશિષ શેલારે આ આરોપોનું અમૃત પાયું છે.’