22 December, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાંચેય પરિવારજનો હારી ગયા હતા.
નાંદેડ જિલ્લામાં લોહા નગરપરિષદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ફૅમિલી-પૅક રણનીતિ નિષ્ફળ ગઈ હતી. અહીં અધ્યક્ષપદના ઉમેદવાર ગજાનન સૂર્યવંશી અને તેમના પાંચેય પરિવારજનો હારી ગયા હતા. અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ જીત મેળવી હતી. એ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું કે NCPના વિજેતા ઉમેદવારનું નામ શરદ પવાર હતું. ગજાનન સૂર્યવંશી, તેમની પત્ની ગોદાવરી સૂર્યવંશી, ભાઈ સચિન સૂર્યવંશી, ભાભી સુપ્રિયા સૂર્યવંશી, સાળા યુવરાજ વાઘમારે અને ભત્રીજાની પત્ની રીના આ ઇલેક્શનમાં હારી ગયાં હતાં. વિરોધ પક્ષોએ પ્રચારમાં આ પરિવારવાદને લઈને BJP પર આકરા પ્રહાર કર્યા હતા.
લોહા, કંધાર, દેગલૂર અને ઉમરીમાં NCPનો વિજય થયો હતો; જ્યારે નાંદેડ જિલ્લાના કુંડલવાડી, મુદખેડ અને ભોકરમાં BJPનો વિજય થયો હતો. આ ઉપરાંત જિલ્લામાં શિવસેના અને મરાઠવાડા જનહિત પાર્ટીએ બે-બે જગ્યાએ જીત મેળવી હતી, જ્યારે શિવસેના (UBT) અને કૉન્ગ્રેસના ભાગે એક-એક વિજય આવ્યો હતો. શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP)ને સમગ્ર જિલ્લામાં એક પણ વિજય મળ્યો નહોતો.
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓમાં BJPના ભવ્ય વિજયની નાગપુરમાં નેતાઓ અને કાર્યકરોએ એકમેકને ગુલાલ લગાડીને ઉજવણી કરી હતી.
લાતુર જિલ્લાની પાંચમાંથી ચાર નગરપરિષદ અને પંચાયતોમાં BJPએ અધ્યક્ષપદની ચૂંટણી જીતી લીધી હતી. ઉદગીર, અહમદપુર, નિલંગા અને રેનાપુરમાં BJPની જીત થઈ હતી, જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની NCPને ઔસા નગર પંચાયતના પ્રમુખપદની ચૂંટણીમાં જીત મળી હતી. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પાલઘર અને દહાણુ નગરપરિષદમાં પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી હતી, જ્યારે પાલઘર જિલ્લામાં જવ્હારપરિષદ અને વાડા નગરપંચાયતમાં BJPને જીત મળી હતી.