26 April, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યમાં રિક્ષા, ટૅક્સી અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરોને તેમની પરમિટ માટે લાઇસન્સ મેળવવા પૅસેન્જરો સાથે મરાઠીમાં વાત કરતાં આવડવું જોઈએ એવો પ્રસ્તાવ રાજ્ય શાસને તૈયાર કર્યો છે. ડ્રાઇવરને મરાઠી ભાષાનું વ્યાવહારિક જ્ઞાન હોવું જોઈએ એ હવે કાયદાકીય રીતે બંધનકારક કરવાની જોગવાઈ થવાની છે. આ બાબતે બે રાજકીય જૂથ પડી ગયાં છે. એક જૂથ એનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે બીજું વિરોધ. એકનાથ શિંદેની શિવસેનાના જ નેતા સંજય નિરુપમે બિનમરાઠી ડ્રાઇવરોને એ માટે સમય આપવાની માગણી કરી છે, જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આક્રમક બનીને જો મહારાષ્ટ્રમાં ધંધો કરવો છે, રોજગાર કરવો છે તો અહીંની મરાઠી ભાષા ડ્રાઇવરોને આવડવી જ જોઈએ એવું સ્ટૅન્ડ લીધું છે. ત્યારે હવે આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ભાષાની જરૂરિયાત બાબતે સ્પષ્ટતા કરી છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સૌથી પહેલી વાત એ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો આગ્રહ રાખવો એ ખોટું નથી. જોકે એ સાથે સરકારની ભૂમિકા એવી હશે કે આ રીતનો વિવાદ ન થવો જોઈએ. અહીં જે રિક્ષા-ડ્રાઇવરો,
ટૅક્સી-ડ્રાઇવરો છે તેમને જો મરાઠી ન આવડતું હોય તો તેમને અમે મરાઠી શીખવીશું. આખા દેશમાં જબરદસ્તી કરી ભાષાને લઈને હિંસા કરવી એ યોગ્ય નથી અને એ ચલાવી પણ નહીં લેવાય. અમે તેમને ચોક્કસ મરાઠી શીખવીશું. કોઈના પર અન્યાય નહીં થવા દઈએ.’
મારી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ બેઠક નથી થઈ: દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર મોડી રાતે બંધબારણે બેઠક યોજાઈ હોવાના મેસેજ સોશ્યલ મીડિયા પર બે દિવસથી ફરી રહ્યા છે. હવે ખુદ દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે રદિયો આપતાં કહ્યું હતું કે મારી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આવી કોઈ બેઠક નથી થઈ.
દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મારી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાઈ હોવાના સમાચાર પાયાવિહોણા અને સદંતર ખોટા છે. સોશ્યલ મીડિયા પર આવા જે સમાચાર ફેલાવી રહ્યા છે તેમને કાયદેસર નોટિસ મોકલાવીને કાર્યવાહી કરવામાં આવશે.’