ઘાટકોપરના એક મૉલમાં ત્રીજા માળેથી મોતની છલાંગ

03 June, 2025 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર-વેસ્ટમાં જ રહેતો ૩૮ વર્ષનો ગુજરાતી દીપક જોશી ડિપ્રેશનમાં હતો એવું જાણવા મળ્યું પોલીસને પ્રાથમિક તપાસમાં

દીપક હરેશ જોશી

ઘાટકોપર-વેસ્ટની કામા લેનમાં રહેતા ૩૮ વર્ષના દીપક હરેશ જોશીએ ગઈ કાલે સવારે ઘાટકોપર-વેસ્ટમાં આવેલા એક મૉલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં દીપકે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઝોન-૭ના ઍડિશનલ પોલીસ-કમિશનર મહેશ પાટીલે દીપકની આત્મહત્યાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે દીપકે એક મૉલના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પાર્કસાઇટ પોલીસ તરત જ તેને પોલીસ-વૅનમાં રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દીપકના મોબાઇલ પરથી તેના પિતા હરેશ જોશીનો સંપર્ક કરીને તેમને બોલાવવામાં આવ્યા હતા. તેમણે દીપકની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું કહ્યું હતું. પોલીસ આ બાબતમાં વધુ તપાસ કરી રહી છે.’

ગઈ કાલના બનાવને નજરે જોનાર એક યુવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંદાજે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ એક મૉલની મેઇન લૉબીમાં અચાનક ધમાકો થયો હતો. લોકો થોડી વાર માટે તો ડરી ગયા હતા. અચાનક અમને એક યુવાન લોહીલુહાણ હાલતમાં લૉબીમાં પડેલો જોવા મળ્યો હતો. તેનું માથું ફાટી ગયું હતું. ત્યાર પછી પોલીસ આવીને તેની બૉડીને લઈ ગઈ હતી.’

દીપક જોશીનો પરિવાર કામા લેનની બારોટવાડીમાં રહે છે જેમાં તેનાં માતા-પિતા અને પત્નીનો સમાવેશ થાય છે. દીપકનો પુત્ર કચ્છમાં તેના મામાના ઘરે રહે છે અને ત્યાં જ ભણે છે. દીપક તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો.

દીપકે આ અગાઉ પણ બે-ત્રણ વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી એમ જણાવતાં બારોટવાડીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપક માનસિક રીતે નાનપણથી જ નબળો હતો. તે કોઈ પણ રીતે પૈસા કમાવા માટે દોટ મૂકતો હતો અને કોઈની પણ ચાલમાં આવી જતો હતો. જોકે એમાં તે સફળ થતો નહોતો. દસ વર્ષ પહેલાં દીપકની ડુપ્લિકેટ નોટ છાપવા બદલ પોલીસે ધરપકડ પણ કરી હતી. આ સિવાય પણ તે લોનના ચક્કરમાં અને અનેક નાણાકીય ગોટાળામાં ફસાયો હતો. તેના પપ્પા નાની-મોટી નોકરી કરીને, તેની માતા લોકોના ઘરે રસોઈ બનાવીને અને તેની પત્ની બેબી-સિટિંગ કરીને પૈસા કમાય છે. જોકે દીપકનાં સપનાં અલગ જ હતાં. અગાઉ તેણે વાશીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ માછીમારોએ તેને બચાવી લીધો હતો.’

આત્મહત્યાની બાબતમાં વધુ સ્પષ્ટતા કરવા માટે દીપકનાં માતા-પિતાનો સંપર્ક કરવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી હતી, પણ તેઓ મળી શક્યાં નહોતાં. બારોટવાડીમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપકના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

ghatkopar suicide mumbai news mumbai mumbai police mental health news