એકનાથ શિંદે પછી દેવેન્દ્ર ફડણવીસે પણ આપ્યો સિદ્ધિવિનાયક મંદિરની દાનચોરીની તપાસનો આદેશ

09 August, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સિદ્ધિવિનાયક ટ્રસ્ટમાં અનિયમિતતા, ચોરી અથવા પ્રશાસકીય ત્રુટિઓ હતી કે કેમ એની તપાસ થવાની છે.

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં થયેલી દાનચોરીની તપાસ સંદર્ભે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છેલ્લાં પાંચ વર્ષના દાનની રકમ અને કીમતી વસ્તુઓના હિસાબનું ઑડિટ કરવાનો આદેશ આપ્યા બાદ હવે પ્રકરણની ગંભીરતા જોઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ એ જ આદેશને દોહરાવીને પાંચ વર્ષનું ઑડિટ કરવા જણાવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં મળેલા દાનની તપાસ થવાની છે. એકનાથ શિંદેની શિવસેનાના જૂથના સદા સરવણકરે આ બાબતે ફરિયાદ કરી હતી. એ પછી હવે મંદિર ટ્રસ્ટના આર્થિક વ્યવહારની ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. 
ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકર અને ટ્રેઝરર પવન ત્રિપાઠીએ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. સદા સરવણકરે આ કથિત અનિયમિતતા બદલ ટ્રસ્ટના તેમની પહેલાંના ઠાકરે જૂથના સભ્યો પર આરોપ કર્યા હતા. 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ એવો આરોપ કર્યો હતો કે દર વર્ષે સિદ્ધિવિનાયક મંદિરમાંથી દાનની રકમમાંથી ૧૮ કરોડ રૂપિયાની ઉચાપત થાય છે. આ મામલે હાથ ધરવામાં આવેલી તપાસમાં 
મંદિરના ૯ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને એ બાબતે તપાસ ચાલી રહી છે. 
હવે સિદ્ધિવિનાયક ટ્રસ્ટમાં અનિયમિતતા, ચોરી અથવા પ્રશાસકીય ત્રુટિઓ હતી કે કેમ એની તપાસ થવાની છે. પાંચ વર્ષમાં મળેલા રોકડ દાન ઉપરાંત દાનમાં મળેલા દાગીના અને કીમતી વસ્તુઓનું પણ ઑડિટ થવાનું છે. 

mumbai news mumbai siddhivinayak temple dadar prabhadevi religious places maharashtra government maharashtra news maharashtra devendra fadnavis eknath shinde