ભારતમાં પ્રોજેક્ટ ધુરંધર શરૂ કરવા માગે છે પાકિસ્તાન?

18 May, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અનનોન ગનમેન’ દ્વારા ધડાધડ થઈ રહેલા આતંકવાદીઓના સફાયાથી અકળાયું પાકિસ્તાન

શહઝાદ ભટ્ટી

ભારતમાં ધુરંધર ઊભા કરીને પાકિસ્તાની ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટી હાઈ-પ્રોફાઇલ લોકોને પતાવવાનું કાવતરું રચતો હોવાનો ખુલાસો

પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદના ભત્રીજા સહિત ટોચના અનેક આતંકવાદીઓ ‘અનનોન ગનમેન’ એટલે કે અજાણ્યા હુમલાખારોના હાથે મોતને ભેટ્યા છે અને એની પાછળ ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (R&AW)નો હાથ હોવાની પણ ચર્ચાઓ ચાલતી આવી છે. આ જ પ્રકારે ભારતમાં પણ ગુનેગારોને પૈસા કે અન્ય લાલચ આપી કે પછી તેમનું બ્રેઇનવૉશ કરીને એ જ રીતે હાઈ-પ્રોફાઇલ લોકોની હત્યા કરાવવાની યોજના પાકિસ્તાનસ્થિત ગૅન્ગસ્ટર-ટેરર ઑપરેટિવ શહઝાદ ભટ્ટીની છે. 

ભારતીય તપાસ એજન્સીઓએ ગયા અઠવાડિયે શહઝાદ ભટ્ટીના સંપર્કમાં રહેલા ૪૦ લોકોની અટક કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી. તપાસ દરમ્યાન દુબઈ અને પાકિસ્તાનથી તેના હૅન્ડલર્સના ઇશારે કામ કરતો શહઝાદ ભટ્ટી પાકિસ્તાનમાં જે રીતે આતંકવાદીઓને હણવામાં આવી રહ્યા છે એ રીતે ભારતમાં હત્યાઓ કરાવવાની યોજના બનાવતો હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

શહઝાદ ભટ્ટી ભારતની જેલમાં રહેલા ગુનેગારો, શાર્પશૂટર્સ વગેરેનો સંપર્ક કરીને ભારતમાં મહત્ત્વના લોકોની હત્યા કરાવવા માગતો હોવાનું ઇન્ટેલિજન્સ એજન્સીઓને જાણવા મળ્યું હતું.  

આખું નેટવર્ક ઊભું કરવાની પૂરી તૈયારી 
તપાસ એજન્સીઓએ જણાવ્યા મુજબ શહઝાદ ભટ્ટી દેશમાં અત્યંત ખૂંખાર હોય એવા ક્રિમિનલ્સની શોધમાં છે. સામાન્ય ગુંડાઓને તે પોતાના નેટવર્કમાં સામેલ નથી કરવા માગતો. હત્યા કરીને હવામાં છૂમંતર થઈ જાય અને જેમની ક્યારેય ભાળ ન મળે એવા લોકોને તે ડિજિટલ માધ્યમથી પોતાની સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યો છે. મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા અત્યાર સુધી ૪૦ જગ્યાએ દરોડા પાડી ૫૭ લોકોને તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવી છે, જેઓ શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ટીમ્સ પણ પરોલ પર છૂટેલા હોય એવા ખતરનાક ગુનેગારો પર બાજનજર રાખી રહી છે.

આતંકવાદીઓની ટપાટપ હત્યાઓથી ગિન્નાયેલો છે ભટ્ટી
તપાસકર્તાઓનું કહેવું છે કે શહઝાદ ભટ્ટી અને આખું પાકિસ્તાની ટેરર નેટવર્ક છેલ્લાં બે વર્ષથી તેમના વહાલા આતંકવાદીઓનાં થતાં મોતથી વ્યથિત છે અને ભારતને કઈ રીતે જવાબ આપવો એની પેરવીમાં છે. એટલા માટે ગૅન્ગ્સ અને સ્લીપર સેલ્સની મદદથી પાકિસ્તાનમાં થઈ રહ્યા છે એ જ રીતના હુમલા કરાવવાના પ્રયાસો છે. શહઝાદ ભટ્ટીના માથે ભારતમાં અનનોન ગનમેન સ્ટાઇલથી હત્યાઓ કરાવવાનું જાણે ભૂત સવાર થયું હોય એવું લાગે છે એમ ઇન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે. 

mumbai news mumbai pakistan terror attack indian army