24 March, 2026 07:41 AM IST | Mumbai | Ranjeet Jadhav
કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા પછી બ્લૅક પૅન્થર.
રત્નાગિરિમાં શિકારનો પીછો કરતી વખતે ૫૦ ફુટ ઊંડા કૂવામાં પડી ગયેલા દુર્લભ બ્લૅક પૅન્થરને ૩૬ કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બચાવી લેવામાં આવ્યો હતો. કોળંબે ગામમાં શનિવારે સવારે ૭ વાગ્યે ગામના લોકોએ જોરદાર ગર્જના સાંભળી હતી. તપાસ કરતાં બ્લૅક પૅન્થર કૂવામાં પડી ગયો હોવાની જાણ થઈ હતી.
સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી ત્યાર બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવામાં લગભગ પાંચ ફુટ પાણી હતું અને એક પથરાળ ખાડો હતો જ્યાં બ્લૅક પૅન્થર ફસાયો હતો. રેન્જ ફૉરેસ્ટ ઑફિસરના જણાવવા મુજબ બ્લૅક પૅન્થરને સુરક્ષિત રીતે બચાવવાની પ્રાથમિકતા હતી, પણ આ સ્થળ તેને આરામદાયક લાગ્યું હોવાથી તે ખસતો જ નહોતો. તેને કાઢવા માટે બે પાણીના ટૅન્કર મગાવીને લગભગ ૪૦૦ મીટરના અંતરેથી પાણીનું સ્તર ધીમે-ધીમે વધારવામાં આવ્યું હતું. આખરે એ પાણીમાં આવ્યો ત્યાર બાદ દોરડાનો ઉપયોગ કરીને પાંજરું કૂવામાં નીચે ઉતાર્યું. એમાં બ્લૅક પૅન્થરે પ્રવેશ કરતાં તેને ઉપર ખેંચી લેવાયો. ૨૦ કર્મચારીઓ અને વીસથી વધુ ગામવાસીઓની ભાગીદારીથી આ કામગીરી ૩૬ કલાક ચાલી હતી.