માર્ગ-અકસ્માતમાં જીવ ગુમાવનાર ઘાટકોપરના સ્ટૉક-બ્રોકરના પરિવારને મળ્યો ન્યાય

10 August, 2026 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટર-એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલનો છ કરોડ રૂપિયાનું રેકૉર્ડ-બ્રેક વળતર ચૂકવવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર મોટર અૅક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. ઘાટકોપરના ૪૬ વર્ષના સ્ટૉક-બ્રોકર નીરજ મહેતાના અકસ્માતમાં થયેલા મૃત્યુ વિશે તેમના પરિવારને વ્યાજ સહિત આશરે છ કરોડ રૂપિયા ચૂકવવાનો ઐતિહાસિક હુકમ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવ્યો છે. આ રકમ અકસ્માત સર્જનાર બસની વીમા કંપની શ્રીરામ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની દ્વારા મૃત્યુ પામનારની પત્ની, બે ટીનેજર બાળકો અને વયોવૃદ્ધ માતા-પિતાને ચૂકવવાની રહેશે.

વર્ષ ૨૦૨૪માં મહાબળેશ્વરના પ્રખ્યાત મેપ્રો ગાર્ડનના પાર્કિંગ વિસ્તારમાં નીરજ મહેતા બસ નીચે કચડાઈ જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું.
વળતર માટેની સુનાવણી દરમ્યાન વીમા કંપનીએ દલીલ કરી હતી કે સિક્યૉરિટીઝ એટલે કે શૅરબજારમાંથી મળતા શૉર્ટ-ટર્મ કૅપિટલ ગેઇન્સને નીરજ મહેતાની આવકમાંથી બાદ કરવા જોઈએ. જોકે ટ્રિબ્યુનલે આ દલીલને ફગાવી દેતાં નોંધ્યું હતું કે મૃત્યુ પામનાર તેમની કુલ (ગ્રોસ) આવક પર ઇન્કમ ટૅક્સ ચૂકવતા હતા. આથી તેમના આયકર રિટર્નને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલ દ્વારા તેમની વાર્ષિક આવક ૪૦.૯ લાખ રૂપિયા આંકવામાં આવી હતી અને અે મુજબ પરિવારના પક્ષમાં આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 

mumbai news mumbai maharashtra news maharashtra road accident gujarati community news gujaratis of mumbai