હવે તુકારામ મુંઢે સામે તેમના જ સ્ટાફની ફરિયાદ

31 July, 2026 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છત્રપતિ સંભાજીનગરના FDAની લૅબના ૨૯ ઑફિસરો અને કર્મચારીઓએ પ્રધાન નરહરિ ઝિરવળને પત્ર લખીને ફરિયાદ કરી

તુકારામ મુંઢે

એક બાજુ કોઈની સાડાબારી રાખ્યા વગર નિયમ પ્રમાણે કામ કરીને મોટી-મોટી હોટેલો સહિત રેસ્ટોરાં, ડેરી, દુકાનો અને ગોડાઉનો પર સપાટો બોલાવતા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના કામની લોકો પ્રશંસા કરી રહ્યા છે ત્યારે હવે તેમના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અને અધિકારીઓએ જ તેમની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. છત્રપતિ સંભાજીનગરમાં આવેલી FDA લૅબના ૨૯ જેટલા ઑફિસરો અને કર્મચારીઓએ તુકારામ મુંઢેની કાર્યપદ્ધતિ સામે વાંધો ઉઠાવીને તેમની ફરિયાદ વિભાગના પ્રધાન નરહરિ ઝિરવળ સમક્ષ કરી છે. ૧૫ જુલાઈઅે મોકલવામાં આવેલા ફરિયાદના લેટરમાં ઑફિ​સરો અને કર્મચારીઓની સહીઓ પણ છે.

સંભાજીનગરની લૅબના કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા શું છે? 
 ૧૫ જુલાઈઅે પ્રધાન નરહરિ ઝિરવળને એક નિવેદન સુપરત કરવામાં આવ્યું હતું.
 લૅબોરેટરીમાં બે શિફ્ટ શરૂ કરવાનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ અેના માટે જરૂરી માનવશક્તિ ઉપલબ્ધ નથી.
 મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે અને હાલના કર્મચારીઓ પર વધારાનો કાર્યભાર લાદવામાં આવી રહ્યો છે.
 સવારે ૯થી મધરાતના ૧૨ વાગ્યા જેટલા લાંબા કલાકો દરમ્યાન કામ કરવું પડે છે અેવા આક્ષેપો છે.
 કર્મચારીઓ નાખુશ છે, કારણ કે તેમને શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે પણ કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 વધારાના કામના પ્રમાણમાં વધારાનો સ્ટાફ, ટેક્નિકલ સપોર્ટ અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં નથી.
 ખોરાક, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના બાકી રહેલા નમૂનાઓના નિકાલની ઉતાવળને કારણે વિશ્ળેષણની ગુણવત્તા પર અસર થવાની આશંકા છે.
 મર્યાદિત નમૂનાઓનું દર મહિને એક વિશ્ળેષક દ્વારા પરીક્ષણ કરી શકાય છે. જોકે અેનાથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવાનું દબાણ હોવાનો આરોપ છે.
 બે શિફ્ટ શરૂ કરતાં પહેલાં પ્રયોગશાળાની ક્ષમતા, સાધનો અને માનવશક્તિ વધારવાની માગણી કરાઈ છે.
 મુખ્ય માગણી એ છે કે પહેલાંના જ વર્કિંગ અવર્સનો સમય લાગુ કરવામાં આવે અને બે શિફ્ટનો નિર્ણય રદ કરવામાં આવે.
 વધારાના કાર્ય માટે યોગ્ય ભથ્થાં અને સુવિધાઓ પૂરી પાડવાની માગણી કરવામાં આવી છે.
 આદેશો અને કાર્યાલયના સમય સતત બદલાતા રહેવાથી કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે અેવો આરોપ.
 ઉતાવળમાં નમૂનાઓનો નિકાલ ન કરવો જોઈએ જેથી પ્રયોગશાળામાં વિશ્ળેષણની ગુણવત્તા સાથે ચેડાં ન થાય અેવી રજૂઆત કરાઈ છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra food and drug administration