16 July, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જાણ કરી હતી કે હોટેલ, રેસ્ટોરાં અને બેકરીઓમાં ભઠ્ઠીઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો કોલસો પ્રદૂષણમાં વધારો કરે છે જે ઝેરી વાયુઓનું ઉત્સર્જન કરે છે. આ રજૂઆતની નોંધ લેતાં બૉમ્બે હાઈ કોર્ટે કોલસાના વેપારીઓને અને બળતણનો ઉપયોગ કરતી સંસ્થાઓને કોઈ પણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
સોમવારે સુનાવણી દરમ્યાન MPCB વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલે બોર્ડનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે કોલસો કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને બ્લૅક કાર્બનનું ઉત્સર્જન કરે છે જે એને જોખમી બનાવે છે અને વાયુ-પ્રદૂષણમાં ફાળો આપે છે. સામા પક્ષે અરજદારોએ દલીલ કરી હતી કે બધી હોટેલો અને રેસ્ટોરાં માટે LPG પર સ્વિચ કરવું આર્થિક રીતે પોસાય એમ નથી. તેમણે એ પણ નિર્દેશ કર્યો હતો કે તાજેતરની યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમ્યાન ગૅસની અછતને કારણે ઘણી સંસ્થાઓને કામગીરી ચાલુ રાખવા માટે કોલસા પર આધાર રાખવાની ફરજ પડી હતી.
અદાલતે અવલોકન કર્યું કે જો MPCBએ તારણ કાઢ્યું હોય કે કોલસો ઝેરી વાયુઓનું ઉત્સર્જન કરે છે અને એનો ઉપયોગ ટાળવાથી પ્રદૂષણ ઘટશે તો વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી.