15 September, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યમાં મરાઠા અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના મુદ્દે વાતાવરણ હજી પણ ગરમ છે ત્યારે રાજ્યના મુત્સદ્દી અને રાજકારણના અઠંગ ખેલાડીની ખ્યાતિ ધરાવતા શરદ પવારે નિવેદન આપતાં કહ્યું હતું કે અનામતના મુદ્દે મહારાષ્ટ્રમાં અસ્થિરતા સર્જાઈ છે.
શરદ પવારે કહ્યું હતું કે ‘સરકારે હૈદરાબાદ ગૅઝેટ પર નિર્ણય લેવો જોઈએ. મેં હૈદરાબાદ ગૅઝેટનો શબ્દેશબ્દ બે વાર વાંચ્યો છે. એના પર થઈ રહેલા વિવાદને કારણે સામાજિક અંટસ પડી રહી છે જે ચિંતાની વાત છે.’
શરદ પવારના આ નિવેદન બાદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એક જ વાક્યમાં સૂચક ઉત્તર આપીને વાત સમેટી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણને ખબર જ છે કે શરદ પવાર શેના માટે પ્રસિદ્ધ છે. શરદ પવારે જો X કહ્યું હોય તો Y સમજવાનું. આ માટે જ શરદ પવાર પ્રસિદ્ધ છે. તેમના વિશે તો વધારે શું બોલવું.’
આવો ટોણો દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારને મારીને અનામતના મુદ્દે હવે રાજકારણ ન કરો એમ વિરોધકોને જણાવ્યું હતું.