11 February, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારના અવસાન પછી ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં પ્રથમ કૅબિનેટ બેઠક યોજાઈ હતી
અજિત પવારના અવસાન પછી ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં પ્રથમ કૅબિનેટ બેઠક યોજાઈ હતી. કૅબિનેટ બેઠકની શરૂઆતમાં અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારનો ઔપચારિક પરિચય કરાવ્યો હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ કૅબિનેટ બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે પણ હાજર હતા. કૅબિનેટની આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના અવસાન પછીની પ્રથમ કૅબિનેટમાં અજિત પવાર દ્વારા ઉલ્લેખિત ૩ મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી હતી, જેમાં બારામતી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માટે ૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાલચંદનગર-રત્નપુર MIDC માટે ૧૦૦૦ એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં ૧૧ વધારાના જિલ્લા કલેક્ટરોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અજિતદાદાએ તેમના મૃત્યુ પહેલાં થોડા દિવસો સુધી આ બાબતે મહેસૂલપ્રધાન સાથે ફૉલોઅપ કર્યું હતું.
ઇલેક્ટ્રૉનિક મેઇલ દ્વારા પક્ષકારોને નોટિસ પાઠવવી કાયદેસર ગણાશે
ઇલેક્ટ્રૉનિક મેઇલ (ઈ-મેઇલ ) દ્વારા પક્ષકારોને નોટિસ પાઠવવી હવે કાયદેસર ગણાશે. મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતાની કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં મહેસૂલ સુનાવણી હેઠળ રહેલા વિવિધ જમીન-કેસોનો ઝડપી નિકાલ શક્ય બનશે. મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતા, ૧૯૬૬ની કલમ ૨૩૦ અનુસાર ઇલેક્ટ્રૉનિક મેઇલ દ્વારા નોટિસ પાઠવવાની પદ્ધતિને કાયદેસર બનાવવા માટે સુધારાને મંજૂરી આપવામાં આવી છે.