23 February, 2026 08:00 AM IST | Mumbai | Rajendra B Aklekar
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન રેલવેએ જેન્યુઇન પ્રવાસીઓને તત્કાલ અને ઍડ્વાન્સ ટિકિટ કઢાવવામાં મુશ્કેલી ન પડે અને તેમને પણ ટિકિટ મળી શકે એ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ની સિસ્ટમમાંથી ૩.૦૩ કરોડ શંકાસ્પદ અકાઉન્ટ ૨૦૨૫ દરમ્યાન બ્લૉક કરી દીધાં હતાં અને ટિકિટ બુક કરવા ફરજિયાત આધાર કાર્ડ નંબર લિન્ક કરવાનો નિયમ લાગુ કર્યો હતો. નવા નિયમ મુજબ ફક્ત આધાર કાર્ડના નંબરથી લિન્ક કરનાર જ ઍડ્વાન્સ અથવા તત્કાલ ટિકિટ બુક કરી શકે છે. આ પગલાને કારણે એજન્ટો જે બલ્ક બુકિંગ કરતા હતા એના પર
રોક લાગી ગઈ છે. પહેલાં તેઓ બુકિંગ કરતા અને બુકિંગ ખૂલતાંની સાથે કેટલીક સેકન્ડોમાં જ ગાડી ફુલ થઈ જતી હતી.
આ પગલાની સાથે-સાથે IRCTCએ એની વેબસાઇટ અને મોબાઇલ ઍપ રેલ કનેક્ટમાં પણ કેટલાક સુધારા કર્યા છે જેમાં લોડિંગ ફાસ્ટ થાય છે, મેનુ પણ જ્લદી ખૂલે છે અને લૉગ ઇન માટે કૅપ્ચા ફીડ કરવાનું પણ કાઢી નાખ્યું છે. ટ્રેનનું લિસ્ટિંગ પણ હવે એ જ્યારે છૂટે છે એના સમયના આધારે કરવામાં આવ્યું છે અને જો કસ્ટસ્માઇઝ્ડ ફિલ્ટર વાપરવાના હો તો એ સુવિધા પણ ઉપલ્બધ છે.
સિસ્ટમને ટેક્નિકલી મજબૂત કરવા IRCTCએ કન્ટેન્ટ-ડિલિવરી નેટવર્ક લાગુ કર્યું છે અને ઑટોમૅટેડ બુકિંગના પ્રયાસ રોકવા ઍન્ટિ-બૉટ ટૂલ્સનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ડેવલપમેન્ટને લીધે ૪.૮૬ કરોડ શંકાસ્પદ અકાઉન્ટ રીવૅલિડેશન માટે મૂકવામાં આવ્યાં છે. એ ઉપરાંત ૧૨,૮૧૯ શંકાસ્પદ ઈ-મેઇલ ડોમેન પણ બ્લૉક કરવામાં આવ્યાં છે.