03 June, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ મુંબઈના સિક્કાનગરના બુરડ ભવનમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજપરમ સૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં રવિવારે યોજાયેલી ધર્મસભા.
રાજસ્થાનના પાલી જિલ્લામાં બુધવારે સવારે વિહાર દરમ્યાન જૈનાચાર્ય પુંડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબના અને ગુરુવારે ગુજરાતના બારડોલીમાં શ્રમણીય સંઘના અભિનંદન મુનિ મહારાજસાહેબના જીવલેણ રોડ-અકસ્માત પછી ગુજરાત અને રાજસ્થાનના જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. મુંબઈમાં અકસ્માતના દિવસથી આ અકસ્માત કરનારા ડ્રાઇવરોની વિરોધમાં પોલીસ હત્યાનો ગુનો નોંધીને બન્ને બનાવોની તપાસ કરે એવી માગણીએ જોર પકડ્યું છે. સમગ્ર દક્ષિણ મુંબઈના જૈન સંઘો અને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનની આગેવાની હેઠળ મુંબઈમાં આવતા અઠવાડિયે એક વિશાળ રૅલીનું આયોજન કરવાની તૈયારી થઈ રહી છે. આ રૅલી મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાના માર્ગદર્શન હેઠળ યોજાશે. એ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા માટે આજે રાતે ૮.૩૦ વાગ્યે સાઉથ મુંબઈના સિક્કાનગરના ખેતવાડીમાં આવેલા બુરડ આરાધના ભવનમાં મુંબઈના તમામ સંઘોની એક સભા આચાર્ય ભગવંત શ્રી રાજપરમસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં યોજવામાં આવશે જેનું સંચાલન સિક્કાનગરના યુવાન કાર્યકરો મુકેશ વર્ધન, શૈલેષભાઈ અને અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવશે.
આ પહેલાં રવિવારે સવારે આચાર્ય ભગવંતની નિશ્રામાં સમગ્ર દક્ષિણ મુંબઈના જૈનોની એક મહત્ત્વની આક્રોશ ધર્મસભા બુરડ ભવનમાં યોજાઈ હતી; જેમાં સેંકડોની સંખ્યામાં સાચોરી, ત્રિસ્તુતિક અને ભીનમાળ સમાજના યુવાનો, પચાસેક ગ્રુપના અધિકૃત વહીવટદારો હાજર રહ્યા હતા. આચાર્ય ભગવંત અને તેમનાં બન્ને શિષ્યરત્નોએ સમગ્ર સભાને તાજેતરમાં શ્રી જિનશાસન પર કયાં-કયાં આક્રમણો છે એની જાણકારી આપી હતી તેમ જ સાધુભગવંતોની સુરક્ષા કરવા માટે યુવાનોને પોતાના સમયનું દાન આપવા અપીલ કરી હતી. આ અપીલનો પ્રતિસાદ આપતાં અનેક યુવાનો પોતાના સમયનું યોગદાન શ્રી જિનશાસનની રક્ષા માટે આપવા કટિબદ્ધ બન્યા હતા. સભામાંથી એક સૂર વહેતો થયો હતો કે સંપત્તિ આપો અથવા સંતતિને જોડો, સંમતિ આપો અથવા સમયનું યોગદાન આપો.