16 May, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષવર્ધન સપકાળ, મહાદેવ જાનકર, રાજુ શેટ્ટી
કોકણમાં ખરાબ હવામાન અને કરા પડવાને કારણે કેરી અને કાજુના પાકને ભારે નુકસાન થયું છે. એના વળતરની માગણી સાથે શુક્રવારે મુંબઈમાં સ્વાભિમાની શેતકરી સંઘટનાએ ગિરગામ ચોપાટીથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન વર્ષા બંગલો પર જઈને આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોને ટેકો આપવા માટે વિરોધ પક્ષના નેતાઓ પણ આંદોલનમાં જોડાયા હતા. મંત્રાલય વિસ્તારમાં આંદોલન કરવાની પોલીસે પરવાનગી આપી નહોતી છતાં હોબાળો મચાવતાં પોલીસે આંદોલકો સામે કડક કાર્યવાહી કરી હતી અને આંદોલન શરૂ થાય એ પહેલાં જ એને ડામી દેવામાં આવ્યું હતું.
આંદોલનમાં સામેલ થવા માટે મંત્રાલય પાસે જમા થયેલા આંદોલનકારીઓ અને ખેડૂતોની પોલીસે અટક કરી હતી; જ્યારે મંત્રાલય પરિસરમાંથી રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર, શિવસેના (UBT)ના વિનાયક રાઉત, સ્વાભિમાની શેતકરી સંઘટનાના રાજુ શેટ્ટી અને કૉન્ગ્રેસના હર્ષવર્ધન સપકાળ જેવા નેતાઓની અટક કરવામાં આવી હતી.
રાજુ શેટ્ટીની ધરપકડ દરમ્યાન પોલીસ અને સ્વાભિમાની શેતકરી સંઘટનાનાના કાર્યકરો વચ્ચે ખાસ્સી રકઝક થઈ હતી અને કાર્યકરોએ પોલીસ પર કેરીઓ ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો.
કેરીના ૯૦ ટકા પાકને નુકસાન થયું છે અને છેલ્લા ૩ મહિનાથી ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. કેરીના પાક માટે હેક્ટરદીઠ પાંચ લાખ રૂપિયા અને કાજુના પાક માટે હેક્ટરદીઠ ૩ લાખ રૂપિયા વળતરની માગણી ખેડૂતોએ કરી હતી.
બીજી બાજુ શિવસેના (UBT)એ આઝાદ મેદાનમાં ખેડૂતોની માગણીઓ માટે આંદોલન કર્યું હતું. મંત્રાલય ઉપરાંત ગિરગામમાં પણ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ભેગા થયા હતા જેમને પોલીસે પહેલાં જ તાબામાં લીધા હતા. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણને પગલે ગિરગામ ચોપાટી વિસ્તારમાં ધમાલિયું વાતાવરણ ઊભું થયું હતું અને ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી. તાબામાં લીધા બાદ બધા જ આંદોલનકારીઓને ડોંગરી પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
મહાદેવ જાનકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે ખેડૂતોનું આવેદનપત્ર પણ સ્વીકાર્યું નથી અને એની કિંમત તેમણે ચૂકવવી પડશે.