29 April, 2025 09:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર (Maharashtra State Government)એ આજે રાજ્યના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના કેટલાક મુખ્ય એક્સપ્રેસવે પર તમામ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર પેસેન્જર વાહનો અને ઇલેક્ટ્રિક બસો માટે ટોલ માફી (Maharashtra Approves Progressive EV Policy)ની જાહેરાત કરી. મંગળવારે મુંબઈમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમા નક્કી કરવામાં આવ્યું કે, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર રાજ્યના કેટલાક મુખ્ય એક્સપ્રેસવે પર તમામ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર પેસેન્જર વાહનો અને ઇલેક્ટ્રિક બસો માટે ટોલ માફ (Maharashtra Approves Progressive EV Policy) કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai–Pune Expressway), અટલ સેતુ - મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (Atal Setu - Mumbai Trans Harbour Link), સમૃદ્ધિ મહામાર્ગ - હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે એક્સપ્રેસ વે (Samruddhi Mahamarg - Hindu Hrudaysamrat Balasaheb Thackeray Expressway) પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ચૂકવવાનો રહેશે નહીં તે નક્કી કરવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગ (Public Works Department - PWD) હેઠળના અન્ય રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોને ૫૦ ટકા ટોલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ‘આ નિર્ણયનો હેતુ રાજ્યમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ ઘટાડવાનો છે’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય મંત્રીમંડળે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન નીતિ ૨૦૨૫ (Maharashtra Electric Vehicle Policy, 2025)ને પણ મંજૂરી આપી છે. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી આ નીતિ હેઠળ, રાજ્ય સરકારે ટોલ માફી-છૂટછાટની જાહેરાત કરવા ઉપરાંત, મહારાષ્ટ્રમાં વેચાતા અને નોંધાયેલા તમામ ઇલેક્ટ્રિક વાહનોને મોટર વાહન કર અને નોંધણી પ્રમાણપત્ર અથવા નવીકરણ ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે અને વર્ષ ૨૦૩૦ સુધી વાહનોની ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ‘ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ), રાજ્ય પરિવહન ઉપક્રમની બસો અને ખાનગી, રાજ્ય/શહેરી પરિવહન ઉપક્રમોની મૂળ કિંમત પર દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.’
મહારાષ્ટ્ર કેબિનેટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી છે, એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું. નવી મહારાષ્ટ્ર EV નીતિનો હેતુ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂકવાની સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વપરાશને વેગ આપવાનો છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ માફીનો નિર્ણય રાજ્યમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ ઘટાડવાનો છે. આ નિર્ણયથી રાજ્યને કેટલો ફાયદો થાય છે તે સમય કહેશે!