25 December, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે ક્રિસમસ અને ન્યુ યરની પૂર્વસંધ્યાએ એક્સાઇઝ લાઇસન્સ ધરાવતી ફૂડ અને બેવરેજ સર્વ કરતી હોટેલ્સ અને રેસ્ટોરાંને સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હોટેલ અને રેસ્ટોરાં અસોસિએશને સરકારને આ દિવસો દરમ્યાન વધારાની છૂટછાટ માટે વિનંતી કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલી ઑક્ટોબરના રાજ્ય સરકારના પરિપત્રમાં હોટેલ અને રેસ્ટોરાંને ચોવીસ કલાક કાર્યરત રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ લિકર સર્વ કરતી એક્સાઇઝ લાઇસન્સ ધરાવતી રેસ્ટોરાંને બાકાત રાખવામાં આવી હતી.
હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન-વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત રજૂ કરીને તહેવારોની માગને ધ્યાનમાં રાખીને ખાસ છૂટછાટ આપવાની વિનંતી કરી હતી. બુધવારે રાજ્ય સરકારે ૨૪, ૨૫ અને ૩૧ ડિસેમ્બર માટે એક્સાઇઝ લાઇસન્સ પ્રાપ્ત ફૂડ ઍન્ડ બેવરેજ એસ્ટૅબ્લિશમેન્ટને સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપી છે.