07 March, 2026 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન આપેલું વચન પાળીને કૃષિ લોનમાફીની જાહેરાત કરી છે. બજેટમાં કરેલી જાહેરાતના પગલે રાજ્યના લાખો ખેડૂતોનો નાણાકીય બોજ હળવો થવાની અપેક્ષા છે.
અગાઉની લોનમાફી યોજનાના અંદાજના આધારે સરકારને હવે લગભગ ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં લગભગ એક કરોડ ખેડૂતો પાસે કૃષિ લોન ખાતાં છે જેમાંથી લગભગ ૩૦ લાખ ખેડૂતો ડિફૉલ્ટર્સની શ્રેણીમાં આવે એવી શક્યતા છે, જેને કારણે તેમને લોનમાફી મળે એવી શક્યતા છે.
જે ખેડૂતોએ તેમની લોન ચૂકવી નથી તેમને બે લાખ રૂપિયા સુધીની માફી મળશે. જે લોકો નિયમિત તેમની લોન ચૂકવી રહ્યા છે તેમને ૫૦,૦૦૦ રૂપિયા નાણાકીય સહાય તરીકે મળશે. ડિફૉલ્ટર્સ માટે લોનમાફીનો ખર્ચ આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે, જ્યારે નિયમિત ચુકવણી કરનારાઓ માટે જાહેર કરેલા ઇન્સેન્ટિવનો ખર્ચ આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
આ યોજનાનો લાભ કોને મળશે એ વિગતો એક મહિનામાં સ્પષ્ટ થશે. સરકારે આ માટે બનાવેલી સમિતિ એનો અહેવાલ રજૂ કરશે એ પછી યોજનાનો અમલ થશે.
દેવેન્દ્ર ફડણવીસે આ યોજનામાં મહત્તમ લાભાર્થીઓનો સમાવેશ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ યોજના બાબતે ખાસ ટિપ્પણી કરી હતી કે મહાયુતિ સરકાર સત્તા અને પદ માટે નથી પરંતુ નાગરિકોને આપેલાં વચનો પાળવા અને પૂરાં કરવા માટે છે.