01 May, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં પહેલી મેથી સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-નોંધણીના તબક્કાનો પ્રારંભ થશે. મહારાષ્ટ્રનાં ચીફ પ્રિન્સિપલ સેન્સસ ઑફિસર નિરુપમા ડાંગેએ આપેલી માહિતી મુજબ ટ્રાન્સપરન્સી લાવવા માટે મોબાઇલ ઍપ અને ઑનલાઇન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે.
નાગરિકો ૧ મેથી ૧૫ મે દરમ્યાન e.census.gov.in પર જઈને પોતાની વિગતો જાતે ભરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક H લેટરથી શરૂ થતો ૧૧ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન (ID) નંબર જનરેટ થશે જે સાચવી રાખવો અનિવાર્ય છે. ત્યાર બાદ ૧૬ મેથી ૧૪ જૂન દરમ્યાન વસ્તીગણતરી કરનારા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વિગતની ચકાસણી કરશે જેમાં આ ID-નંબર તેમને આપવો પડશે.
રાજ્યમાં આ કામગીરી માટે અંદાજે ૨.૬૪ લાખ કર્મચારીઓની ફોજ તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વસ્તીગણતરી હાઉસહોલ્ડ લેવલ પર કરવામાં આવે છે એટલે આ કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. વૉર્ડ મુજબ વસ્તીગણતરીનો ફૉલોઅપ ફેઝ આવતા વર્ષે હાથ ધરવામાં આવશે.