09 June, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
રાજ્યભરમાં દવાના વેચાણ પર હવે વધુ કડક નિયંત્રણ લાદવાની શરૂઆત થઈ ચૂકી છે. ફાર્મસિસ્ટ હાજર ન હોય એવી દવાની દુકાનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
દવાઓ સામાન્ય વસ્તુ નથી અને એની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય છે. દવાનું વેચાણ કરતી વખતે વૅલિડ અને રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ હાજર હોય એ કાયદાકીય રીતે ફરજિયાત છે. જોકે અનેક જગ્યાએ ફાર્મસિસ્ટ વગર જ દવાની દુકાનો ચાલતી હોવાની ફરિયાદ પ્રશાસનને મળી હતી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ રાજ્યના અધિકારીઓને આ બાબતે અભિયાન ચલાવવાની સૂચના આપી છે એટલું જ નહીં, જો તપાસ દરમ્યાન દુકાનમાં ફાર્મસિસ્ટ હાજર ન હોય તો એ દુકાનને તાત્કાલિક સીલ કરવાનો આદેશ તેમણે આપ્યો છે. બનાવટી દસ્તાવેજો સાથે, બીજા ફાર્મસિસ્ટના નામનો દુરુપયોગ કરીને તથા લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન અને નિયમો ચાતરીને દવાઓનું સેલ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવા નિર્દેશ તેમણે આપ્યા છે.