મહારાષ્ટ્રમાં આખરી મતદારયાદી આગામી ૪ નવેમ્બરે જાહેર થશે

20 August, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવા સમયપત્રક મુજબ ૨૪ ઑગસ્ટ સુધીમાં મતદાનમથકોનું પુનર્ગઠન અને વ્યવસ્થાપન પૂર્ણ કરી લેવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. દાવા અને વાંધાઅરજીઓ રજૂ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવતાં હવે આખરી મતદારયાદીની જાહેરાત લગભગ એક મહિનો પાછી ઠેલાઈને ૪ નવેમ્બર કરવામાં આવશે.

આ નવા સમયપત્રક મુજબ ૨૪ ઑગસ્ટ સુધીમાં મતદાનમથકોનું પુનર્ગઠન અને વ્યવસ્થાપન પૂર્ણ કરી લેવામાં આવશે, ત્યાર બાદ ૩૧ ઑગસ્ટે ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ઘર-ઘર જઈને બૂથ લેવલ ઑફિસર (BLO) દ્વારા ગણતરી ફૉર્મ અને દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી ૧૭ ઑગસ્ટના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. નાગરિકો ૩૧ ઑગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી ડ્રાફ્ટ મતદારયાદી સામે પોતાના દાવા અને વાંધા નોંધાવી શકશે.

નોટિસ આપવાની તેમ જ દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા પણ ૩૧ ઑગસ્ટથી ૨૯ ઑક્ટોબર દરમ્યાન હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આખરી મતદારયાદી ૪ નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે જેની અગાઉની આખરી તારીખ ૭ ઑક્ટોબર નક્કી કરવામાં આવી હતી.

special intensive revision sir maharashtra news maharashtra mumbai mumbai news election commission of india