03 September, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક તરફ મહારાષ્ટ્ર રાજ્ય (Maharashtra Government)ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની જોરદાર કાર્યવાહી ચાલી રહી છે. એની વચ્ચે હવે રાજ્ય સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત સરાહનીય નિર્ણય લીધો છે. સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, મીટિંગ્સ અને ઇવેન્ટ્સમાં કર્મચારીઓ તથા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં ઓફિશિયલ મીટિંગ્સમાં જનક ફૂડને તિલાંજલિ આપીને પૌષ્ટિક અને હેલ્ધી આહાર પીરસવો એવો આદેશ બહાર પાડ્યો છે. આ માટે સાર્વજનિક આરોગ્ય વિભાગ દ્વારા સરકારી નિર્ણય (GR) રીલીઝ કરવામાં આવો હતો.
સરકાર (Maharashtra Government)ના ધ્યાનમાં આવ્યું છે કે હાલમાં બદલાતી લાઈફસ્ટાઈલ, મેન્ટલ ટેન્શન અને અસંતુલિત આહાર પદ્ધતિને કારણે લોકોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વિતા અને હૃદયરોગ જેવા રોગોનું પ્રમાણ અતિશય વધી ગયું છે. અને આ જ કારણોસર હવેથી સરકારી મીટિંગ્સ અને કાર્યક્રમોમાં મિલેટ્સ ખીચડી, મગ-ચણા જેવા ફણગાવેલા કઠોળ, શેકેલા કે બાફેલા ચણા-શીંગદાણા, મોસમી ફળો, વેજિટેબલ પૌંઆ, ઉપમા, ઈડલી-સાંભાર, બાફેલા ઈંડા અને સૂકો મેવો પીરસવામાં આવશે. આ સાથે જ ઉપસ્થિતો અને આમંત્રિતો તમામ માટે નાળિયેરનું પાણી, છાશ, સોલકઢી, ખાંડ વગરનું દૂધ, ઓછી ખાંડ કે ગોળવાળું લીંબુ પાણી, ગ્રીન ટી અને હર્બલ ટી વગેરે પીણાં સ્વરૂપે આપવામાં આવશે.
જો કોઈ કાર્યક્રમ આખા દિવસના હોય તો તેની માટે જુવાર, બાજરી કે નાચણીના રોટલા, મલ્ટીગ્રેન રોટલી, બ્રાઉન રાઈસ, ઓછા તેલમાં બનાવેલ શાક, દાળ-ઉસળ, દહીં, સલાડ આપવામાં આવશે. મીઠાઇની જગ્યાએ એકદમ તાજા અને મીઠાં ફળો આપવામાં આવશે. તે સિવાય રાંધેલ માછલી, ચિકન કે મટનનો પણ સમાવેશ કરવામાં આવશે.
હવે જંકફૂડની જગ્યા આ નવું અને એકદમ હેલ્ધી મેનૂ લઈ લેશે. રિપોર્ટ્સ (Maharashtra Government) પ્રમાણે તમામ રસોઈ પણ`ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ` (ICMR-NIN) અને `FSSAI`ની ગાઈડલાઇન્સ અનુસાર જ તૈયાર કરવામાં આવશે. એટલે કે રસોઈમાં ખાંડ, મીઠું અને વધારે-પ્રોસેસ્ડ થયેલું હોય તેવા તેલનો વપરાશ ધીમેધીમે ઘટાડવામાં આવશે.
રાજ્ય સરકાર (Maharashtra Government) દ્વારા જારી કરવામાં આવેલ આ આદેશ તમામ સરકારી વિભાગો, કલેક્ટર કચેરીઓ, જિલ્લા પરિષદ, મહાનગરપાલિકાઓ અને સરકારી તાલીમ સંસ્થાઓએ પાળવાનો છે. કેન્ટીન માટેના નવા કોન્ટ્રાક્ટમાં પૌષ્ટિક આહારની શરતો સુદ્ધાં ઉમેરવામાં આવશે. હવેથી આ તમામે ખાદ્યપદાર્થોના આહારમાં કયા કયા પોષક તત્ત્વો સામેલ છે તે પણ દર્શાવવા ફરજિયાત રહેશે. સરકાર આ આદેશનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે ખાસ સમિતિ અને નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવાની છે. વળી, એફડીએ (FDA) દ્વારા સમયાંતરે ઓડિટ પણ કરવામાં આવશે.