14 March, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે મુસાફરો વહન કરતી ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે જેથી આ ક્ષેત્રમાં નિયમોમાં એકરૂપતા સુનિશ્ચિત થાય એમ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે જાહેરાત કરી હતી. વળી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું છે કે એ રાજ્યમાં રિક્ષા (પીળી અને કાળી રજિસ્ટ્રેશન પ્લેટો સાથે) માટે નવી પરમિટ આપવાનું બંધ કરશે અને ૩ ઑપરેટરોને ઈ-બાઇકનો ઉપયોગ કરવા માટે આપવામાં આવેલી પરમિટને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે.
પ્રતાપ સરનાઈકના કાર્યાલયે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી ઈ-રિક્ષાઓને મુસાફરોના ટ્રાન્સપોર્ટેશન માટે અલગ પરમિટ મેળવવાની જરૂર નહોતી. જોકે ઇલેક્ટ્રિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યએ મુસાફરોના પરિવહનમાં સમાન નિયમો કરવા માટે ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પણ પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.’
આ પગલાથી મુસાફરોના ટ્રાન્સપોર્ટેશનમાં રોકાયેલી પરંપરાગત રિક્ષા, ટૅક્સી અને ઈ-રિક્ષાઓ પર સમાન નિયમો લાગુ થશે. એનો ઉદ્દેશ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને અનિયમિતતાઓને રોકવાનો છે. મુસાફરોનું ટ્રાન્સપોર્ટેશન કરતાં તમામ વાહનો માટે પરમિટ ફરજિયાત બનાવવાથી આ ક્ષેત્રમાં વધુ શિસ્ત લાવવામાં, નિયમોનું પાલન કરવામાં અને મુસાફરોને સુરક્ષિત અને નિયમ મુજબ સેવાઓ પૂરી પાડવામાં મદદ મળશે.