31 May, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે સાથે રાધકૃષ્ણ વિખે પાટીલ.
મરાઠા અનામત સહિતની માગણીઓ માટે મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે જાલનાના અંતરવાલી-સરાટીમાં અનશન પર બેઠા છે ત્યારે શનિવારે સરકાર તરફથી ફરી એક વાર રાધાકૃષ્ણ વિખે પાટીલ તેમને મળ્યા હતા અને તેમની સાથે વાટાઘાટો કરી હતી. સરકાર મરાઠા સમાજની માગણીઓ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે અને એ પૂરી કરવા પ્રયત્ન કરી રહી હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય તેમને તડકામાં બેસવાને બદલે છાંયડામાં બેસીને અનશન કરવાની વિનંતી કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શનિવારે બંધારણ મુજબ અને કાયદા મુજબ કોર્ટમાં ટકી શકે એ રીતે જે શક્ય હશે એ બધી જ માગણી પૂરી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.
દરમ્યાન મરાઠા આંદોલનકારીઓએ ધુળે-સોલાપુર વચ્ચે હાઇવે પર રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું. જોકે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને રસ્તો ખાલી કરાવ્યો હતો.