13 August, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદય સામંતની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ગર્વમેન્ટના ઉદ્યોગમંત્રી તેમ જ શિંદેસેનાના સિનિયર નેતા ઉદય સામંતના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ફૉલ્ટ આવ્યો (Uday Samant Helicopter) હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સમાચારથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું પરંતુ રાહતના સમાચાર એ છે કે કોઈ હાદસો થયો નથી અને બધુ જ સુરક્ષિત છે. ઉદય સામંતનું હેલિકોપ્ટરમાં ટેક-ઓફ કરી રહ્યું હતું તે જ વેળાએ અચાનક ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હતો જે તરત જ પાયલટના ધ્યાનમાં આવ્યો. પાયલટે સમયસૂચકતા અને સતર્કતા રાખીને તરત જ હેલિકોપ્ટરનું ટેકઑફ રોકી દીધું હતું અને હેલિકોપ્ટર ઉડાડવાનું પડતું મૂક્યું હતું. જેના લીધે એક મોટો હાદસો થતાંથતાં રહી ગયો છે.
રિપોર્ટ્સ અનુસાર ઉદય સામંત આજે સવારે લગભગ ૮:૪૫ વાગ્યે નાગપુરથી ગડચિરોલીના `સૂરજાગડ` ખાતેના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે જઇ રહ્યા હતા. બસ તેમનું હેલિકોપ્ટર ઑન થયું અને ટેક-ઓફ (Uday Samant Helicopter) કરવાની તૈયારીમાં જ હતું ત્યાં પાયલટના ધ્યાનમાં આવ્યું કે હેલિકોપ્ટરમાં કોઈ મેજર ટેકનિકલ ફૉલ્ટ થયો છે. તરત જ પાયલટે પળનો પણ પણ વિલંબ કર્યા વગર ઉદય સામંતને નીચે ઉતારી દીધા હતા અને હેલિકોપ્ટરની ઉડાન રોકી દીધી હતી.
કહેવાઈ રહ્યું છે કે જો આ હેલિકોપ્ટરે ઉડાન ભરી લીધી હોત અને હવામાં ટેકનિકલ ફૉલ્ટ (Uday Samant Helicopter) સર્જાયો હોતે તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. પરંતુ પાયલટની સતર્કતાથી ઉદય સામંત અને અન્ય તમામ મુસાફરોને કોઈ જ નુકસાન થયું નથી, બધા જ સુરક્ષિત છે.
આ ઘટના બાદ મંત્રી ઉદય સામંતે પોતે મીડિયા સાથે વાતચીત કરતા સમગ્ર ઘટનાને સાચી હોવાનું કહ્યું હતું અને તેઓએ જણાવ્યું કે, "આ એકદમ સાચી વાત છે. સવારે પોણા નવ વાગ્યે હું નાગપુરથી સૂરજાગડ પ્રોજેક્ટના નિરીક્ષણ માટે રવાના થયો હતો. હેલોકોપ્ટરે ટેક-ઓફ લીધું ત્યારે જ પાયલટના ધ્યાનમાં આવ્યું કે કંઇક ટેકનિકલ ફૉલ્ટ છે જેથી અમે ઉડાન ભરવાની જ માંડી વાળી. પાયલટની સતર્કતાથી અમે સુરક્ષિત છીએ. હવે હું બાય રોડ ગડચિરોલી જવા રવાના થયો છું"
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક શિવસેના કાર્યકર્તાઓ અને રાજકીય વર્તુળોમાં એક ક્ષણ માટે તો ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ સાથે જ શિવસેનાના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે ઉદયજીના હેલિકોપ્ટરની ઉડાન ભરતા પહેલાં જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી તો પછી તે દરમિયાન આ ફૉલ્ટ કેમ ધ્યાનમાં ન આવ્યો? આવો સવાલ કરીને તેઓએ ઉદય સામંતના સેફ્ટી પ્રોટોકોલમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તેની ત્વરિત તપાસ (Uday Samant Helicopter) કરવાની માગ કરી છે.
હેલિકોપ્ટરમાં બેસીને ઉદ્યોગમંત્રી ઉદય સામંત જે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા હતા તે મહારાષ્ટ્ર સરકારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મુંબઈ-સૂરજાગડ વિકાસ એક્સપ્રેસ પ્રૉજેક્ટ એ વિદર્ભમાં એક્સપ્રેસ-વેનું નેટવર્ક વિસ્તરણ છે. ખનિજથી સમૃદ્ધ એવા ગડચિરોલીને સરકાર સાથે કનેક્ટ કરવા આ પ્રૉજેક્ટ અમલમાં મુકાયો છે. ઉદય સામંત સૂરજાગડમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, ખનિજ ઉદ્યોગ અને સ્થાનિક ઉદ્યોગો સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે જઇ રહ્યા હતા.