13 June, 2026 08:00 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
કોલ્હાપુરના શહીદ સૈનિક વિક્રમ ચવાણને પરિવારજનોએ ભારે હૈયે વિદાય આપી હતી (ડાબે). સાતારાના શહીદ પુત્ર અર્જુન જાધવને અંતિમ વિદાય આપવા માટે તેમના એક વર્ષના દીકરા, પત્ની અને પરિવારજનો સાથે આખું ગામ ઊમટી આવ્યું હતું. ગામના લોકોએ સલામી આપીને તેને અંતિમ વિદાય આપી હતી (જમણી)
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક ૯ જૂને અચાનક થયેલા એક બ્લાસ્ટમાં શહીદ થયેલા મહારાષ્ટ્ર આર્મીના બે જવાનો અર્જુન જાધવ અને વિક્રમ ચવાણના પાર્થિવ દેહ શુક્રવારે તેમના વતન પહોંચ્યા હતા. બન્ને શહીદ જવાનોના ગામમાં સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સાતારા જિલ્લાના શહાપુર ગામના વતની અર્જુન જાધવનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં હતાં. તેની એક મહિનાની રજા મંજૂર થઈ ગઈ હતી અને તે ૧૫ જૂને ઘરે પહોંચવાનો હતો. પચીસ જૂને તેના દીકરાની પહેલી વર્ષગાંઠ પર ઘરે આવીને સેલિબ્રેટ કરવા માગતો હતો, પરંતુ તેનું આ સપનું અધૂરું રહી ગયું. કોલ્હાપુરના ગોંડોલીના વિક્રમ ચવાણની મમ્મીનું થોડા મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું ત્યારે પરિવારજનો પર આ બીજું દુ:ખ આવી પડ્યું. ૩ વર્ષની દીકરી અને પત્નીના આક્રંદ વચ્ચે ગામજનોએ પાર્થિવ દેહ પર પુષ્પવૃષ્ટિ કરીને શહીદના દેશ માટેના સમર્પણને બિરદાવ્યું હતું.
અર્જુન જાધવ અને વિક્રમ ચવાણ બન્ને ઉરી સેક્ટરમાં ફરજ પર તહેનાત હતા. મંગળવારે બપોરે કમલકોટ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમ્યાન શહીદ થયા હતા.