18 February, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ રાજ્યના મુસ્લિમ સમુદાયને એક મોટો ઝટકો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણ અને અર્ધ-સરકારી નોકરીઓમાં પાંચ ટકા મુસ્લિમ અનામત (Maharashtra Muslim Reservation) પાછું ખેંચ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટે પાંચ ટકા અનામત રદ કરી દીધી છે. મંગળવારે, રાજ્યના સામાજિક ન્યાય વિભાગ (Social Justice Department)એ અગાઉના આદેશને રદ કરતો સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો. અગાઉની કોંગ્રેસ-એનસીપી (Congress – NCP) સરકારે મરાઠાઓને ૧૬ ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપતો વટહુકમ બહાર પાડ્યો હતો. જોકે, આ વટહુકમ છેલ્લા ૧૦ વર્ષથી અમાન્ય હતો કારણ કે કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલો વટહુકમ છ અઠવાડિયા પછી વિધાનસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયો હતો.
નવા GR મુજબ, ખાસ પછાત શ્રેણી (A) હેઠળ સમાવિષ્ટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ જૂથ માટે સરકારી, અર્ધ-સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત સંબંધિત અગાઉના તમામ નિર્ણયો અને વટહુકમો રદ કરવામાં આવ્યા છે.
નવા આદેશમાં જણાવાયું છે કે, સરકારે વર્ષ ૨૦૧૪ના અગાઉના નિર્ણયો અને પરિપત્રો રદ કર્યા છે અને ખાસ પછાત શ્રેણીમાં મુસ્લિમોને જાતિ અને નોન-ક્રીમી લેયર પ્રમાણપત્રો આપવાનું બંધ કરી દીધું છે.
કોંગ્રેસ-એનસીપી સરકારે વર્ષ ૨૦૧૪માં અનામત રજૂ કરી હતી. તેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી જગ્યાઓ પર ભરતીનો સમાવેશ થતો હતો.
જોકે, કાનૂની પડકારોને કારણે અધિકારીઓએ ક્વોટા લાગુ કર્યો ન હતો. અનામત પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૪માં બહાર પાડવામાં આવેલ વટહુકમ પણ તે જ વર્ષે સમાપ્ત થઈ ગયો.
અધિકારીઓ તાજેતરના ઠરાવને વર્તમાન કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા માટેના ઔપચારિક પગલા તરીકે વર્ણવે છે.
લઘુમતી કલ્યાણ મંત્રી નસીમ ખાન (Minority Welfare Minister Naseem Khan)એ જુલાઈ ૨૦૧૪માં કેબિનેટની બેઠકમાં મુસ્લિમ સમુદાય માટે પાંચ ટકા અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ કોઈપણ ચર્ચા વિના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ-એનસીપી સરકારે અનેક સમિતિઓ અને અહેવાલો દ્વારા મુસ્લિમ સમુદાયના સામાજિક-શૈક્ષણિક દરજ્જાનો પાંચ વર્ષનો અભ્યાસ કર્યો હતો અને નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમુક વર્ગો પછાત છે, તેથી અનામતની ભલામણ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અલગથી પાંચ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. આ જાહેરાત વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી, જેનાથી તેને રાજકીય રંગ મળ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રની કેટલીક કોલેજો/સંસ્થાઓમાં પાંચ ટકા ક્વોટા લાગુ કરવાનું શરૂ થયું. સરકારી નોકરીઓ માટે એક સૂચના પણ જારી કરવામાં આવી હતી, પરંતુ તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો ન હતો.
આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે વચગાળાનો આદેશ જારી કર્યો હતો કે શિક્ષણમાં પાંચ ટકા અનામત ચાલુ રહેશે, પરંતુ સરકારી નોકરીઓમાં પાંચ ટકા અનામત સ્થગિત કરવામાં આવી હતી કારણ કે નોકરીના ક્વોટાને સમર્થન આપવા માટે અપૂરતો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો.
આ કેસ ઘણા વર્ષો સુધી કોર્ટમાં ચાલ્યો. સરકારે અલગ મુસ્લિમ ક્વોટાને બદલે OBC/SEBC શ્રેણી હેઠળ લાભો આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અલગ પાંચ ટકા મુસ્લિમ અનામત માટે કોઈ નવો, મજબૂત કાયદો ઘડવામાં આવ્યો ન હતો, અને નીતિ અસરકારક રીતે લાગુ કરવામાં આવી.
મંગળવારે, મહારાષ્ટ્ર સરકારે નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટે પાંચ ટકા અનામત રદ કરી.