09 July, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નર્મદા પ્રોજેક્ટ માટેના કરાર વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જળશક્તિ ખાતાના પ્રધાન સી.આર. પાટીલ તથા અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર હતા.
સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP) હેઠળ બાકી ચુકવણી અંગે ચાર રાજ્યો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા મતભેદોનો અંત આવ્યો છે. ખર્ચની વહેંચણી તથા ખર્ચ થયેલા પૈસાની બાકી ચુકવણી સહિતના જૂના પ્રશ્નોને નવી દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં મંગળવારે એક કરાર કરીને ઉકેલવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આ ચારેય રાજ્યો વચ્ચે નર્મદા પ્રોજેક્ટને લઈને ચાલતા પ્રશ્નોનું આ કરાર બાદ સમાધાન થયું હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્રને મળવાપાત્ર ૧૦ થાઉઝન્ડ મિલ્યન ક્યુબિક (TMC) ફુટ પાણી મેળવવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે.
કરાર થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રને ૧૦ TMC ફુટ પાણી મેળવવાનો હક હતો, પરંતુ ભૌગોલિક મર્યાદાઓને કારણે એ પાણી પહોંચાડી શકાયું નહીં. પરંતુ હવે નર્મદા-તાપી ડાઇવર્ઝન યોજનામાંથી પાંચ TMC ફુટ અને ઉકાઈ પ્રોજેક્ટમાંથી પાંચ TMC ફુટ પાણી માટે કરાયેલી દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.’
ગુજરાતે ચોમાસા દરમિયાન ખાસ કરીને જ્યારે ઉકાઈ ડેમમાં પાણી રહે છે ત્યારે આ પાણીનો ઉપાડ કરવાની મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હતી.
નવી દિલ્હીમાં અમિત શાહની હાજરીમાં ચારેય રાજ્યો દ્વારા આ કરાર પર સહી કરવામાં આવી હતી. જળશક્તિ ખાતાના પ્રધાન સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન અમિત શાહે આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
હવે મહારાષ્ટ્રએ બેથી ત્રણ હજાર કરોડને બદલે ફક્ત ૨૭ કરોડ રૂપિયા ચૂકવવાના
દેવેન્દ્ર ફડણવીસે કરાર વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે પહેલાં મહારાષ્ટ્રએ આ પ્રોજેક્ટ માટે બેથી ત્રણ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જોકે હવે મહારાષ્ટ્રએ આ પ્રોજેક્ટના ફક્ત ૨૭ કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. આ કરાર નર્મદા પ્રોજેક્ટના કારણે જેને ફાયદો થાય છે એવાં રાજ્યોએ તેમના ભાગે આવતા પૈસાની ચુકવણી અંગે હોવાનું તેમણે જણાવ્યું હતું.