04 August, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય શિરસાટ
રાજ્યના પ્રધાનોનાં બેફામ વક્તવ્યો અને કૃત્યોને કારણે સરકાર પર વિરોધીઓ માછલાં ધોઈ રહ્યા છે અને એ સંદર્ભે સરકારે શરમમાં મુકાવું પડે છે. એથી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ ચીમકી આપી છે કે આવાં બેજવાબદાર સ્ટેટમેન્ટ કરવાં નહીં, જો કરશો તો કડક પગલાં લેવાશે. એમ છતાં ગઈ કાલે રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન સંજય શિરસાટે બફાટ કર્યો હતો. અકોલામાં એક કાર્યક્રમમાં મંચ પરથી લોકોને સંબોધતાં શિંદેસેનાના આ પ્રધાને જાહેરમાં કહ્યું હતું કે ‘આપણા વિસ્તારમાં આવેલી હૉસ્ટેલો માટે નિધિની માગણી કરો. હૉસ્ટેલ માટે પાંચ, દસ, પંદર કરોડની જરૂર હોય તો પણ માગો. ન આપ્યું તો મારું નામ નહીં. સરકારના પૈસા છે, આપણા બાપનું શું જાય છે.’
સંજય શિરસાટના આ વક્તવ્યને લઈને ફરી એક વાર રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિરોધીઓ સરકાર પર તૂટી પડ્યા છે અને સરકારને નીચાજોણું થયું છે.
ઉલ્લેખનીય છે કે આ જ સંજય શિરસાટનો રોકડા રૂપિયા ભરેલી બૅગ સાથેનો વિડિયો વાઇરલ થયો હતો.