16 April, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ને ગયા નાણાકીય વર્ષ દરમ્યાન દરરોજ સરેરાશ ૧.૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
દેશનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન MSRTC ૧૫,૦૦૦થી વધુ બસનો કાફલો ધરાવે છે અને અંદાજે ૯૦,૦૦૦ કર્મચારીઓનો સ્ટાફ ધરાવે છે. એ દરરોજ પંચાવન લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. એની દૈનિક આવક ૩૧.૪૦ કરોડ રૂપિયા છે, જેની સામે રોજનો ખર્ચ ૩૩ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ દરમ્યાન કુલ ખર્ચ ૧૨,૦૬૬ કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે બસ-સંચાલનમાંથી મળેલી આવક ૧૧,૪૭૫ કરોડ રૂપિયા રહી હતી. આમ વર્ષના અંતે MSRTCને કુલ ૫૯૧ કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.
નફો ક્યાં-ક્યાં?
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને MSRTCના ચૅરમૅન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે MSRTCના કુલ ૩૧ વિભાગોમાંથી માત્ર આઠ વિભાગો જાલના, પરભણી, બુલઢાણા, ભંડારા, ગડચિરોલી, અકોલા, ધુળે અને વર્ધા જ નફો કરી રહ્યા છે. આ ખોટ ભરપાઈ કરવા માટે પગલાં લેવાનો નિર્દેશ પ્રતાપ સરનાઈકે અધિકારીઓને કર્યો હતો.