Mumbai Crime News: મમ્મીએ દીકરીને નામે પ્રોપર્ટી કરી એમાં 48 વર્ષીય શખ્સે બહેનને જ પતાવી નાખી

26 April, 2025 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime News: માતાએ પ્રોપર્ટીનો તમામ અધિકાર દીકરીને આપ્યો અને ભાઈને ન આપતાં ગુસ્સામાં આવેલા ભાઈએ બહેનની જ હત્યા કરી નાખી હતી.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime News: મુંબઈના અંધેરી વિસ્તારમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જે હચચાવી મૂકે તેવો છે. અહીં 48 વર્ષીય વ્યક્તિએ પ્રોપર્ટીના વિવાદને લઈને તેની 45 વર્ષીય બહેનને છરીના ઘા ઝીંક્યા હતા. આ ભાઈ-બહેનની માતાએ પ્રોપર્ટીનો તમામ અધિકાર દીકરી અન્વયા કિરણ પૈંગણકરને આપ્યો અને ભાઈને ન આપતાં ગુસ્સામાં આવેલા ભાઈએ બહેનની જ હત્યા કરી નાખી હતી.

૧૫ વર્ષ પહેલા આ ભાઈ મેઘાલય જતાં રહ્યા હતા

આરોપીની ઓળખ આશિષ કરંદીકર તરીકે થઈ છે. (Mumbai Crime News) તે તેની 80 વર્ષીય માતા અને બહેન અન્વયા કિરણ પૈંગણકર સાથે અંધેરી વેસ્ટના લલ્લુભાઈ પાર્કમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી 15 વર્ષ પહેલાં તેનું આ ઘર છોડીને મેઘાલયમાં રહેવા માટે જતો રહ્યો હતો. ત્યારબાદ ૮૦ વર્ષની મહિલા એકલી પડી ગઈ હતી. દીકરો તો મેઘાલય જતો રહ્યો હતો ત્યારે તેમની સંભાળ લેવા માટે પોતાના પતિ સાથે ગોરેગાંવમાં રહેતી ૮૦ વર્ષના માજીની દીકરી થોડા વર્ષો પહેલા અહીં રહેવા આવી હતી. આ દરમિયાન આ ૮૦ વર્ષનાં માતાએ તેમની પોપર્ટીના અધિકારો પોતાની દીકરીના નામે કરી નાખ્યા હતા.

મુંબઈ આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મીએ તમામ પ્રોપર્ટી બહેનને નામે કરી નાખી છે 

થોડાક સમય પહેલા જ્યારે આ આશિષભાઈ મેઘાલયથી પરત મુંબઈ આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની માતાએ તેમની તમામ પ્રોપર્ટી દીકરી એટલેકે આ બહેનને નામે કરી નાખી છે. ત્યારબાદ આ બંને જણ વચ્ચે ઝગડા શરૂ થયા હતા. એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે જ પોલીસ અધિકારીએ (Mumbai Crime News) ઉમેર્યું હતું કે આ જે વિવાદિત બિલ્ડિંગનો મુદો છે તે રિડેવલપમેન્ટનો છે. 

ચાર વાર ચાકુના ઘા ઝીંકી બહેનને ઉતારી મોતને ઘાટ 

ભાઈ-બહેન વચ્ચે ઘણા વખત આ મામલે ઝગડો તો ચાલતો જ હતો ત્યાં આ શુક્રવારે ભાઈ-બહેનો પ્રોપર્ટીના અધિકારો અંગે દલીલ કરી રહ્યા હતા. જુહૂ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સુનીલ જાધવે જણાવ્યું હતું કે, ગુસ્સે ભરાયેલ આશિષ કરંદીકર કિચનમાં જઈને છરી લાવ્યો હતો. બહાર આવી તેણે બહેનના પેટમાં ચાર વાર છરીના ઘા ઝીંક્યા હતા.

પોલીસ આપી આ કેસની માહિતી

મુંબઈના અંધેરી વિસ્તારમાં બનેલી આ ઘટના (Mumbai Crime News) સમયે કરંદીકરના બે બાળકો અને તેમની માતા ઘરે હતાં. તેઓએ આ વિષે તરત જ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કરંદીકરની ધરપકડ કરી હતી, એમ જાધવે ઉમેર્યું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને હત્યાના આરોપમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news mumbai andheri Crime News mumbai crime news cooper hospital