11 April, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : શાદાબ ખાન
મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પણ દિક્ષણ મુંબઈ સહિત ઘણા વિસ્તારોમાં વધારાના પાણી માટે લોકોએ પાણીના ટૅન્કર પર આધાર રાખવો પડે છે. આ ટૅન્કરો મુંબઈના પ્રાઇવેટ કૂવાઓમાંથી પાણી લઈને મુંબઈગરાઓને પહોંચાડતાં હોય છે. BMCએ હવે પ્રાઇવેટ કૂવા ધરાવનારાઓને નોટિસ ફટકારી હોવાથી પાણી સપ્લાય કરતાં ટૅન્કરોના માલિકોના અસોસિએશનના ૩૦૦ જેટલા સભ્યો ગઈ કાલથી બેમુદત હડતાળ પર ઊતરી ગયા છે. આને લીધે ગઈ કાલે ટૅન્કર પર નિર્ભર બિલ્ડિંગો અને ઑફિસોમાં પાણીની તકલીફ થઈ હતી.
ટૅન્કરમાલિકોની આ હડતાળ વિશે માહિતી આપતાં મુંબઈ વૉટર ટૅન્કર અસોસિએશન (MWTA)ના પ્રવક્તા અંકુર શર્માએ કહ્યું કે ‘અમારા ૧૮૦૦ જેટલા રજિસ્ટર્ડ ટૅન્કરધારકો છે, જેમની પાસે ૫૦૦થી ૨૦,૦૦૦ લીટરની કૅપેસિટીનાં ટૅન્કર હોય છે જે મુંબઈમાં રોજનું ૩૫૦ મિલ્યન લીટર પાણી સપ્લાય કરે છે. હવે ઑથોરિટી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે એ કૂવામાંથી પાણીની સપ્લાય કરનારાઓએ કૂવાની માલિકીના અથવા કૂવો લીઝ પર લીધો હોવાના દસ્તાવેજો આપવા પડશે. એ સિવાય તેમને કેટલું પાણી રોજ સપ્લાય થયું એની ઍક્યુરેટ ગણતરી રાખવા ડિજિટલ વૉટર-મીટર બેસાડવાનું કહેવામાં આવ્યું છે. વળી તેમણે સેન્ટ્રલ ગ્રાઉન્ડ-વૉર ઑથોરિટીનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવું પડશે. મુંબઈ જેવા શહેરમાં આ બધા જ નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે. જ્યાં સુધી સરકાર દ્વારા એમાં રાહત નહીં આપવામાં આવે ત્યાં સુધી ટૅન્કરો પાણી સપ્લાય નહીં કરે.’