18 July, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાથમાં પ્લૅકાર્ડ્સ લઈને પોતાની વ્યથા રજૂ કરી રહેલો ડેરીવાળો, ટૅન્કરમાં દૂધ લાવીને વેચનારા નાની ડેરીવાળા ગઈ કાલે મોરચો લઈ ગયા હતા.
રાજ્યમાં લોકોની હેલ્થ સાથે કોઈ ચેડાં નહીં ચલાવી લેવાય એવા સ્પષ્ટ હેતુ સાથે કામ કરી રહેલા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગઈ કાલથી જ અલગ-અલગ નાની ડેરીના કોલ્ડ ટૅન્કરમાં લાવીને વેચાતા લૂઝ દૂધ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે કોઈ એનો ભંગ કરશે તેને ૩ લાખ રૂપિયા સુધીનો દંડ અને તેનું લાઇસન્સ કૅન્સલ કરવાની જોગવાઈ છે. એને કારણે એ દૂધ વેચનારાઓ પર પસ્તાળ પડી છે. એથી ગઈ કાલે તેઓ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનની બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી હેડ ઑફિસ પર સંજય નિરુપમની આગેવાની હેઠળ મોરચો લઈ ગયા હતા.
FDAના જૉઇન્ટ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહેલા સંજય નિરુપમ અને નાની ડેરીના પ્રતિનિધિઓ
મુંબઈમાં અલગ-અલગ ડેરી (અમૂલ, ગોકુલ, મહાનંદનું) પૅશ્ચરાઇઝ્ડ દૂધ થેલીમાં વેચાય છે. અનેક નાની-નાની ડેરીઓ છે જે કોલ્ડ ટૅન્કરમાં દૂધ લાવીને લૂઝમાં વેચે છે. એ દૂધ પ્લાસ્ટિકની થેલીમાં પૅક કરી એમાં કેટલી ફૅટ છે એ જણાવી ડેરીના નામ અને બ્રૅન્ડનેમ સાથે વેચવાનો આદેશ FDAએ આપ્યો છે એમ જણાવતાં એ દૂધ વેચનારાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે ‘ દૂધમાં કરાતી ભેળસેળ જેમ કે યુરિયા ભેળવવું કે ડિટર્જન્ટ ભેળવવો એ દરેક વ્યક્તિ માટે હાનિકારક છે જ અને FDA દ્વારા તેમની સામે થતી કાર્યવાહી યોગ્ય જ છે એમાં કોઈ બેમત નથી, એ થવી જ જોઈએ. જોકે મુંબઈમાં ૫૦,૦૦૦ નાની ડેરી છે જે કોલ્ડ ટૅન્કરમાં દૂધ લાવીને વેચે છે. એ લોકો તેમની ડેરીમાં ટૅન્કરમાંથી પ્લાસ્ટિકની બૅગમાં દૂધ આપે છે. તેમના માટે આટલા મોટા સ્તરે બ્રૅન્ડનેમ સાથેની થેલીમાં એ દૂધ પૅક કરીને આપવાની સુવિધા નથી હોતી. વળી એના માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી હોતું. ડેરીના દૂધના આ ધંધામાં મોટા ભાગે રાજસ્થાની લોકો સંકળાયેલા છે. દરેક ડેરીમાં વળી ચાર-પાંચ કર્મચારીઓ કામ કરતા હોય છે. મુંબઈમાં અંદાજે બે લાખ લોકોને તેઓ રોજગાર પૂરો પાડે છે. વળી જો તેઓ બ્રૅન્ડનેમ સાથે સમજી લો કે વેચવાની તૈયારી બતાવે તો પણ તેમની સીધી કૉમ્પિટિશન જાયન્ટ કંપનીઓ અમૂલ કે મહાનંદ, ગોકુલ સાથે થવાની છે. એમાં એ લોકો ટકી ન શકે. એ દૂધ-વિક્રેતાઓએ એક નિવેદન FDAના જૉઇન્ટ કમિશનરને આપ્યું છે. તેઓ આ વિશે તુકારામ મુંઢે સાથે ચર્ચા કરી જણાવશે એવું આશ્વાસન તેમણે આપ્યું છે.’