06 July, 2026 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપત્તિ વ્યવસ્થાપન કક્ષની રૂબરૂ મુલાકાત લીધી હતી
Mumbai Rains: સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં વરસાદની ધુંઆધાર બેટિંગ જોવા મળી રહી છે. આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી કેટલાક કલાકો માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવી છે. આજે મુશળધાર વરસાદને લીધે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રેલ્વે અને માર્ગ વાહનવ્યવહાર પર ભારે માઠી અસર પડી છે. રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. સાવચેતીના ભાગરૂપે આજે શાળાઓ અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ખાનગી કંપનીઓને કર્મચારીઓને `વર્ક ફ્રોમ હોમ`ની આપીલ કરાઇ છે. :
હાલની પરિસ્થિતિની (Mumbai Rains) ગંભીરતાને જોતાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપત્તિ વ્યવસ્થાપન કક્ષની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ તેઓએ રાહત અને બચાવ કામગીરીના પ્લાનિંગની સમીક્ષા પણ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "રાજ્યમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મુંબઈમાં સામાન્ય રીતે આખા મહિનામાં જેટલો વરસાદ પડે છે, તેટલો વરસાદ ફક્ત આ ચાર જ દિવસમાં ખાબકી પડ્યો છે. હજુ ૮ જુલાઈ સુધી એલર્ટ જારી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ ૮૦૦ વૃક્ષો ધરાશાયી થતા હોય છે, પરંતુ ગઈકાલે એક જ દિવસમાં ૩૫૦ વૃક્ષો ઊખડી પડ્યાં હતાં. આ સાથે જ તેઓએ આજે બપોર પછી મુંબઈમાં દરિયામાં હાઈટાઈડ (ભરતી) (Mumbai Rains) આવવાની હોવાનું જણાવ્યું હતું સાથે જ અને ૭૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાઈ શકે છે, તેવી ચેતવણી પણ આપી છે. આ સમગ્ર પરિસ્થિતિને જોતાં તેઓએ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને ખાસ યંગસ્ટર્સને આ સમયે મોન્સૂન ટ્રાવેલ કે પિકનિક ટાળવાનું જણાવ્યું છે.
મુશળધાર વરસાદ (Mumbai Rains)ને કારણે રાજ્યના મુખ્ય માર્ગો અને ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર મોટી ભેખડો ધસી પડી હોય અહીં મોટા પ્રમાણમાં વાહનોનો કાફલો જોવા મળી રહ્યો છે. કનેક્ટિંગ લિંક પર તંત્ર તાત્કાલિક સક્રિય થઈને વાહનોને ડાયવર્ટ કરી રહ્યું છે. મુંબઈ-ગોવા હાઈવેના કશેડી ઘાટમાં પણ ભારે વરસાદને પગલે ભુસ્ખલન થયું છે. આ હાઈવે પર કુલ ૮ જગ્યાએ ભેખડો ધસી પડી છે.
મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલસેવાને (Mumbai Rains) પણ અસર થઈ છે. રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. પાલઘર અને વસઈ-વિરાર વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોવાથી રેલ્વે વ્યવહાર ઠપ્પ થયો છે.
રાજ્ય (Mumbai Rains)ની અનેક નદીઓ પૂરના ભયજનક સ્તરે પહોંચી ગઈ હોવાની માહિતી પણ મળી રહી છે. જેમાં સાવિત્રી નદીએ જોખમી સપાટી વટાવી દીધી છે, જોકે હજુ શહેરમાં પાણી ઘૂસ્યા નથી. કોલ્હાપુરમાં પણ નદીઓ ઓવરફ્લો થઈ રહી છે. ઇન્દ્રાયણી નદીના તમામ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નાસિકમાં વાદળ ફાટવાની આશંકા પણ વ્યક્ત કરાઇ છે. આવતીકાલે નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં વાદળ ફાટવાની આશંકા છે, જ્યાં ૩૦૦ મિલિમીટર જેટલો ભારે વરસાદ પડી શકે છે. જેને કારણે તંત્ર ત્યાં પહેલેથી જ એલર્ટ થઇ ગયું છે.