લૉકડાઉનમાં બેરોજગારીએ લીધો ડ્રામા આર્ટિસ્ટનો ભોગ?

07 September, 2021 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ વર્ષના નાલાસોપારાના યુવાને ગળાફાંસો ખાધો : સુસાઇડ-નોટમાં કામકાજ ન હોવાની હતાશા, બૅન્કના રિકવરી એજન્ટોની હેરાનગતિ, પિતાનું મૃત્યુ તેમ જ મમ્મી ક્યાંક જતાં રહ્યાં હોવાથી એકલા પડી જવાને લીધે નિરાશામાં આ પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું

ડ્રામા આર્ટિસ્ટ રાહુલ સકપાળ

નાલાસોપારામાં રહેતા ૨૬ વર્ષના એક ડ્રામા આર્ટિસ્ટે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના શનિવારે સવારે બની હતી. લૉકડાઉન લાગુ કરાયા બાદ કામકાજ બંધ હોવાની સાથે પ્રાઇવેટ ફાઇનૅન્સ કંપનીમાંથી સ્કૂટર માટે ફાઇનૅન્સ લીધા બાદ એના હપ્તા ન ભરી શકવાથી રિકવરી એજન્ટોની સતત હપ્તા ભરવાની માગણી તેમ જ પિતાના મૃત્યુ બાદ મમ્મી ઘર છોડીને જતાં રહ્યાં હોવાથી એકલા પડી જવાને લીધે હતાશામાં પોતે આવું પગલું ભર્યું હોવાનું મરનાર યુવાને સુસાઇડ-નોટમાં લખ્યું છે એમ પોલીસે જણાવ્યું હતું. તુળીંજ પોલીસ સ્ટેશનમાં યુવકના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરાઈ છે.

તુળીંજ પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા (ઈસ્ટ)માં તુળીંજ વિસ્તારમાં આવેલી એક બેઠી ચાલમાં ૨૬ વર્ષનો ડ્રામા આર્ટિસ્ટ રાહુલ બાબુરાવ સકપાળ રહેતો હતો. બે વર્ષ પહેલાં આસપાસના વિસ્તારમાં આવવા-જવા માટે તેણે એક પ્રાઇવેટ ફાઇનૅન્સ કંપનીમાંથી ૬૦ હજાર રૂપિયાની લોનથી સ્કૂટર ખરીદ્યું હતું. તુળીંજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂટરની લોન ભરપાઈ કરવા માટે રાહુલે તેના એક મિત્ર પાસેથી અમુક રૂપિયા ઉધાર લીધા હતા. બૅન્કની લોન તો ભરાઈ જશે, પણ પોતાની પાસે કોઈ કામકાજ નથી એટલે મિત્રને કેવી રીતે રૂપિયા પાછા આપીશ એવી ચિંતા સતાવતી હોવાથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાનું ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ-નોટમાં લખ્યું છે. બેરોજગારી, માતા-પિતા ન હોવાથી એકલા પડી જવું અને બૅન્કની લોનની ચિંતાને લીધે તેણે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે રાહુલના મૃત્યુ માટે બીજું કોઈ કારણ તો નથીને એની તપાસ કરવા માટે અમે અત્યારે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.’

mumbai mumbai news lockdown nalasopara