10 May, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રિપોર્ટ આપી રહેલાં રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષા વિજયા રહાટકર.
નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની ઑફિસમાં મહિલા કર્મચારીઓ દ્વારા થયેલા હૅરૅસમેન્ટ અને ધર્મપરિવર્તનના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ બાદ અધ્યક્ષા વિજયા રહાટકરના નેતૃત્વમાં રાષ્ટ્રીય મહિલા આયોગે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ૫૦ પાનાંનો રિપોર્ટ સુપરત કર્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કમિશનને ખાતરી આપી હતી કે કમિશનની ભલામણો અનુસાર સંબંધિત વ્યક્તિઓ સામે કડક અને અસરકારક પગલાં લેવામાં આવશે.
નાશિક TCS બનાવમાં હૅરૅસમેન્ટ અને બળજબરીથી ધર્મપરિવર્તનના આરોપોની તપાસ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ સાધના જાધવની અધ્યક્ષતામાં તપાસસમિતિની રચના કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે સમિતિએ ૧૮-૧૯ એપ્રિલે નાશિકની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન તેમણે કથિત પીડિત મહિલાઓ, પોલીસ-અધિકારીઓ અને અન્ય સંબંધિત હિસ્સેદારો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ત્યાર બાદ સમિતિએ ૫૦ પાનાંથી વધુનો અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં કંપનીમાં કામ કરતી મહિલાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી પચીસથી વધુ મહત્ત્વપૂર્ણ ભલામણો કરી હતી. આયોગનાં અધ્યક્ષા વિજયા રહાટકરે જણાવ્યું હતું કે આ અહેવાલ કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી, ગૌરવ, ન્યાય અને જવાબદારી જાળવી રાખવા માટે રચાયેલાં મહત્ત્વપૂર્ણ તારણો અને એના ઉપાય માટે લેવાયેલાં પગલાંની રૂપરેખા આપે છે.