ત્રણ વર્ષથી પોતાને ઘરમાં લૉક કરીને રહેતા માણસને આખરે બહાર કાઢવામાં આવ્યો

01 July, 2025 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહારની દુનિયા સાથે ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવા પૂરતો જ સંબંધ હતો : ૨૦ વર્ષ પહેલાં મોટા ભાઈને અને થોડાં વર્ષ પહેલાં મમ્મી-પપ્પાને ગુમાવ્યા પછી ડિપ્રેશનમાં સરી પડ્યો હતો

ત્રણ વર્ષ ઘરમાં બંધ રહેલા અનુપ નાયર (ડાબે)ની હવે કાયાપલટ કરવામાં આવી છે.

નવી મુંબઈના જુઈ નગરમાં રહેતા પંચાવન વર્ષના એક ભાઈ પરિવારના ૩ જણને ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં સરી ગયા હતા જેને લીધે તેમણે પોતાના જ ઘરમાં પોતાને લૉક કરીને ૩ વર્ષ સુધી બહારની દુનિયા સાથેનો કૉન્ટૅક્ટ તોડી નાખ્યો હતો. માત્ર ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવા પૂરતું જ આ વ્યક્તિ દરવાજો ખોલતી હતી. હાલમાં તેમને બહાર કાઢીને સોશ્યલ ઍન્ડ ઇવેન્જેલિકલ અસોસિએશન ફૉર લવ (SEAL) સંસ્થાના આશ્રમમાં તેમને સારવાર અપાઈ રહી છે.

અનુપ નાયર નામનો આ માણસ અગાઉ કમ્પ્યુટર એન્જિનિયરની જૉબ કરતો હતો. તેનાં મમ્મી પુનમ્મા નાયર ઇન્ડિયન ઍર ફોર્સમાં ટેલિકમ્યુનિકેશન વિભાગમાં અધિકારી હતાં અને પપ્પા વી. પી. નાયર તાતા હૉસ્પિટલમાં કામ કરતા હતા. છેલ્લાં ૬ વર્ષમાં અનુપ નાયરનાં મમ્મી અને પપ્પા બન્નેનું મૃત્યુ થયું હતું. તેના મોટા ભાઈએ ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. બધા જ પરિવારજનોને ગુમાવવાને કારણે એકલો પડેલો અનુપ નાયર ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. ડિપ્રેશનને લીધે છેલ્લાં ત્રણ વર્ષથી તે ઘરની બહાર જ નહોતો નીકળતો. પાડોશી વિજય શિબેએ જણાવ્યું હતું કે ‘અનુપ નાયર ક્યારેક જ દરવાજો ખોલતા હતા, કચરો બહાર નાખવા પણ દરવાજો તે ખોલતો નહીં. અમે તેમનાં મમ્મી-પપ્પાએ કરેલી ફિક્સ ડિપોઝિટ મેળવવામાં પણ મદદ કરી હતી. ઘણાં સગાંનાં કૉલ પણ આવ્યાં હતાં. શરૂઆતમાં અનુપ કોઈના પર વિશ્વાસ નહોતો કરતો.’

SEALના સભ્યોને અનુપ વિશે જાણ થતાં જ તેઓ સેક્ટર ૨૪માં આવેલી ઘરકુલ સોસાયટીમાં તેના ઘરે ગયા હતા. દરવાજો તોડીને અંદર જોતાં ઘરમાંથી બધું ફર્નિચર કોઈ લઈ ગયું હોય એમ જણાયું હતું. અનુપ રોજ એક જ ખુરસી પર સૂતો હતો, આખું ઘર ગંદકીથી ભરેલું હતું અને અનુપના પગમાં ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું પણ જણાયું હતું એમ SEALના પાદરી કે. એમ. ફિલિપે જણાવ્યું હતું.

navi mumbai mumbai crime news mumbai crime news news mumbai police mumbai news mental health