ભેગી થનારી બન્ને NCPની ધુરા સંભાળવાના હતા અજિત પવાર

14 February, 2026 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCP (SP)ના પ્રદેશાધ્યક્ષ શશિકાંત શિંદેનો દાવો

NCP (SP)ના પ્રદેશાધ્યક્ષ શશિકાંત શિંદે

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના પ્લેન-ક્રૅશમાં થયેલા નિધન બાદ તેમની પાર્ટી અને NCP (SP) બન્ને ભળી જવાની હતી, બન્નેનું વિલીનીકરણ થવાનું હતું એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે NCP (SP)ના પ્રદેશાધ્યક્ષે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં લખ્યું છે કે વિલીનીકરણ થયા બાદ એક થયેલી NCPની ધુરા અજિત પવારને સોંપાવાની હતી.

શશિકાંત શિંદેએ એ લેખમાં કહ્યું છે કે ‘અદૃશ્ય શક્તિનાં કારસ્તાનો અને ધમકીઓ તથા ખોટા ષડ્યંત્રનો ભોગ બનીને અજિતદાદાએ NCPનું પોતાનું અલગ જૂથ બનાવવું પડ્યું હતું એ તો સૌ જાણે છે, પરંતુ થયેલી ભૂલ સુધારી લેવા અજિતદાદા છેલ્લા ચાર-પાંચ મહિનાથી કામ કરી રહ્યા હતા. બન્ને જૂથનું મર્જર કરવા તેઓ પક્ષના વરિષ્ઠ નેતા જયંત પાટીલ, શરદ પવારસાહેબ અને અમારી સાથે વાતચીત કરી રહ્યા હતા. મહાનગરપાલિકા, જિલ્લાપરિષદ અને પંચાયતની ચૂંટણીઓમાં એથી જ તેમણે બન્ને જૂથ NCP અને NCP(SP)ની યુતિ કરી હતી અને પોતે પણ એના પ્રચારમાં આગેવાની લીધી હતી.’

બન્ને NCPનું વિલીનીકરણ ૧૨ ફેબ્રુઆરીએ કરવાનો નિર્ણય શરદ પવારની હાજરીમાં લેવાયો હતો અને એ પછી મર્જ થયેલી NCPની ધુરા અજિત પવારને સોંપવાનો નિર્ણય શરદ પવાર સહિત બધા જ નેતાઓએ લીધો હતો એમ જણાવતાં શશિકાંત શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘કાર્યકરોની પણ એ જ ઇચ્છા અને અપેક્ષા હતી. જોકે કાળનું કરવું અને અજિત પવાર ન રહ્યા. તેમનું બન્ને NCP એક કરવાનું સપનું પણ અધૂરું રહ્યું. હવે એ સપનું પૂરું કરવાની જવાબદારી આપણા સૌની છે. એથી દરેકે મન મોટું રાખીને એ માટે પ્રયાસ કરવા પડશે. બન્ને NCPનું વિલીનીકરણ કરીને ફરી પક્ષને મજબૂત સ્થિતિમાં લાવવો એ જ તેમને ખરી શ્રદ્ધાંજલિ ગણાશે.’

જોકે સામા પક્ષે NCPના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે વિલીનીકરણ બાબતની કોઈ પણ માહિતી તેમની પાસે ન હોવાનું ઑલરેડી આ પહેલાં જ કહી ચૂક્યા છે.

nationalist congress party ajit pawar sharad pawar political news indian politics maharashtra political crisis maharashtra news maharashtra mumbai mumbai news