09 September, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હવે બાપ્પાની નાની ૧૮ ઇંચ સુધીની મૂર્તિ લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે. રસ્તા પરની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને જોતાં ગણેશમૂર્તિ મેટ્રોમાં લાવવા-લઈ જવાની છૂટ આપવામાં આવી છે. એ માટે ખાસ નિયમાવલિ પણ તૈયાર કરવામાં આવી છે. સુરક્ષિતતાની દૃષ્ટિએ મૂર્તિનું સ્ટેશન પર ઍક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવશે. મૂર્તિ સાથે કોઈ પણ જ્વલનશીલ વસ્તુ લઈ જઈ નહીં શકાય.
મેટ્રો 3 રાતે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે
ગણેશોત્સવમાં અનેક મુંબઈગરા રાતના સમયે મોટા-મોટા ગણપતિનાં દર્શન કરવા પરિવાર, મિત્રો અને સંબંધી સાથે નીકળતા હોય છે. તેમને સરળતા રહે એ માટે મેટ્રો 3ની છેલ્લી ટ્રેન આરે અને કફ પરેડ એમ બન્ને સ્ટેશનથી રાતે ૧૨ વાગ્યે છૂટશે.
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે ગણેશોત્સવ મનાવવા માટે કોકણ તથા અન્ય જિલ્લાઓમાં જતા ગણેશભક્તોને સંપૂર્ણપણે ટોલમાફી જાહેર કરી છે. બધાં જ ખાનગી વાહનો તથા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, જેનો ફાયદો લાખો ગણેશભક્તોને થશે. રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન શિવેન્દ્રસિંહરાજે ભોસલેએ આ બાબતની સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે ગણેશભક્તોનો પ્રવાસ સરળ, સુખદ અને સુરક્ષિત રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આપેલી માહિતી મુજબ ૧૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન આ ટોલમાફી અમલમાં રહેશે. મુંબઈ-ગોવા હાઇવે, મુંબઈ-બૅન્ગલોર હાઇવે અને અટલ સેતુ પર આ ટોલમાફી આપવામાં આવી છે. આ ઉપરાંત સાર્વજનિક બાંધકામ ખાતા તથા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) હેઠળ આવતા બધા જ રસ્તાઓ પર પણ આ સુવિધા આપવામાં આવશે. જોકે એનો લાભ લેવા માટે વાહન પર વિશેષ સ્ટિકર-પાસ લગાવવો ફરજિયાત રહેશે. નજીકના પોલીસ-સ્ટેશન, રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) તથા ટ્રાફિક ચેક-પૉઇન્ટ્સ પરથી આ પાસ મેળવી શકાશે.